અમદાવાદઃ બેલારુસમાં ગ્રોડનો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયેલા અમદાવાદના ૭૮ સહિત ૨૦૦ વિદ્યાર્થીઓએ કોરોના અને લોકડાઉનના લીધે ત્યાં અટવાઈ ગયા છે. જોકે બેલારૂસમાં લોકડાઉન ન હોવા છતાં વિદ્યાર્થીઓએને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે કરિયાણુ અને શાકભાજી લેવામાં મુશ્કેલી પડી રહી છે.
દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી માનસિક સ્થિતિ પણ વિકટ બની છે. તેમ વિદ્યાર્થીઓના વાલીઓએ તેમના સંતાનો સાથેની વાતથી જણાવ્યું છે. આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું કહેવું છે કે અમે કોરોનાનો નેગેટિવનો રિપોર્ટ આપવા તૈયાર છીએ. ભારત સરકાર ઈચ્છે ત્યાં અમે ક્વોરન્ટાઈન થવા તૈયાર છીએ પરંતુ અમને ભારત એરલિફ્ટ કરવામાં આવે. આ અંગે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓની સ્થિતિ જેમની તેમ છે. પૂર્વીશ સોની નામના વાલીએ કહ્યું કે, અમે સીએમઓ, પીએમઓ, વિદેશ મંત્રાલયને ફોન તેમજ ઈ-મેઈલથી વિદ્યાર્થીઓને પાછા લાવવા રજૂઆત કરી છે.