ભાવનગરઃ અગાઉ બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં છ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. આ બેઠક ભાજપે હસ્તગત કરી હતી. એ પછી બાકી બચેલી ખેડૂત વિભાગની ૮ બેઠક માટે ૧૨મીએ મતદાન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સત્તા મેળવવા માટે ભાજપને માત્ર એક બેઠક પર જીતની જરૂર હતી. ૧૩મીએ મતગણતરી થતાં ખેડૂત વિભાગની તમામ આઠેય બેઠક પર ચમત્કારિક રીતે કોંગ્રેસનો વિજય થયો હતો અને ભાજપને જરૂરી એક પણ બેઠક ન મળી.
માર્કેટિંગ યાર્ડમાં ભાજપની થયેલી હાર પાછળ યાર્ડના ડિરેકટર અજિતભાઈ વાળાએ યાર્ડના ચેરમેન ભીખાભાઈ લાણિયાને જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ જાહેરમાં ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ડિરેકટર અજિત વાળાએ ચેરમેન ભીખાભાઈને લાફો ઝીંકી દીધો હતો.


