અમદાવાદ: બ્રહ્માકુમારી જાનકી દીદીએ ૨૭મી માર્ચે વહેલી સવારે ૧૦૪ વર્ષની વયે દેહત્યાગ કર્યો હતો. તેમના નશ્વર દેહનાં વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. માઉન્ટ આબુના બ્રહ્માકુમારીઝ હેડ ક્વાટરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના મુખ્ય વહીવટી વડાં જાનકી દીદી પંચભૂતોમાં વિલીન થતાં અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હાલમાં કોરોના વાઈરસના કારણે અવરજવર પર મુકાયેલાં પ્રતિબંધને કારણે તેમનાં અંતિમ દર્શન અને અંતિમવિધિમાં વધુ લોકો એકત્રિત થયાં નહોતાં. સવારે ૯.૩૦ વાગ્યે તેમનાં નશ્વર દેહને આબુમાં ગ્લોબલ હોસ્પિટલથી પાંડવ ભવન લઈ જવાયો હતો.
પાંડવ ભવનમાં તેમના દેહને ચારેય સ્થળની યાત્રા કરાવાઈ પછી બપોરે ૧.૦૦ વાગે તાપસ્ય ધામની સામે તેમને અંતિમ દર્શન માટે મુકાયો હતો. બપોરે ૩.૩૦ કલાકે જાનકીદીદીના અંતિમ સંસ્કાર કરાયાં હતાં. સાંજે ૬.૩૦ કલાકે કોન્ફરન્સ હોલમાં અનુયાયીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.