અમદાવાદઃ દેશભરમાં શરૂ થયેલી કોરોના સંક્રમણની સેકન્ડ પીકમાં સૌથી ગંભીર સ્થિતિ ગુજરાતમાં થવા પાછળ ડિસેમ્બરમાં ઇંગ્લેન્ડમાં પ્રસ્થાપિત થયેલા બ્રિટિશ વેરિયન્ટ તેમજ ભારતમાં જ સક્રિય થયેલા ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઇન અંગે કેન્દ્ર સરકારથી માંડીને આરોગ્ય મંત્રાલયને જાણકારી હતી. તેણે રાજ્યોને તેના અંગે કોરોના પ્રોટોકોલના પાલન માટે સાવચેત રહેવા પણ સંકેતો મોકલ્યા હતા, પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં જીત મેળવવાના અતિઉત્સાહ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચોની મજા માણવામાં અને કોરોના સામે હવે રસીકરણથી જીત મેળવી વિશ્વના દેશોને આત્મનિર્ભર ભારતની શક્તિનો પરિચય કરાવી દેવાની હોડમાં આજે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા અને સેંકડો લોકો સારવારના અભાવે તરફડી રહ્યા છે.
ભારત સરકારે કોવિડ વાઇરસના અભ્યાસ માટે વિજ્ઞાનીઓના ઇન્ડિયન સોર્સ-કોવિડ કોન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ (ઇન્સાકોગ)ની રચના કરી હતી. આ ટીમે દેશના જુદા જુદા રાજ્યોમાં વાઈરસના કેવા પ્રકારના મ્યુટેશન સક્રિય છે તેના અભ્યાસ માટે નમુના એકત્રિત કરી જીઆઈએસએઆઈડીને મોકલ્યા હતા. તેણે પ્રકાશિત કરેલા ડેટામાં ઇન્સાકોગ દ્વારા શોધાયેલા કોવિડના ભારતીય ડબલ મ્યુટેટ બી.૧૬૧૭ની કયા રાજ્યોમાં કેટલી સ્ટ્રેઇન સક્રિય છે તે જાહેર કરાયું છે એમાં ગુજરાતમાં ૧૬ પ્રકારની સ્ટ્રેઇન સક્રિય છે. આ સ્ટ્રેઇન અત્યંત ઝડપથી સંક્રમણને વધારે છે અને એની સાથે ભળેલા બ્રિટિશ વેરિયન્ટના ૬૭ પ્રકારના સ્ટ્રેઇનથી તબાહી મચી ગઈ છે એમ જાણકારોનું કહેવું છે.
બ્રિટિશ સ્ટ્રેઇન સૌથી પહેલાં નવેમ્બરમાં લંડનમાં જોવા મળ્યો હતો. ત્યાં એકાએક સંક્રમણનો વ્યાપ વધી જતાં વાયરસના ટેસ્ટિંગ દરમ્યાન આ નવા બ્રિટિશ વેરિયન્ટની જાહેરાત કરવામાં આવી હતી. આને પગલે ભારતમાં અને ગુજરાતમાં બ્રિટનથી આવતાં તમામ મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટિંગ શરૂ કરાયા હતા.
વડોદરા, સુરત અને અમદાવાદમાં મળી કુલ ૨૦ જેટલા જુદા જુદા લોકો પોઝિટિવ આવ્યા હતા. જોકે, જાન્યુઆરી બાદ તેના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. ૧૫ ફેબ્રુઆરી પછી ગુજરાતમાં ૨૧૫ કેસની સંખ્યા થઈ ગયા પછી એકાએક કેસ ઝડપી વધવાની શરૂઆત થઈ હતી. ૧૫ માર્ચે દૈનિક ૯૦૦ અને ૧૫ એપ્રિલના રોજ ૮૦૦૦ને પાર થઈ અત્યારે ૧૪૦૦૦થી વધુ કેસ નોંધાય છે. બ્રિટિશ વેરિયન્ટ પણ ઝડપથી પ્રસરે છે અને કહે છે કે એનાથી સંક્રમિત દર્દીઓમાં ગંભીર સ્થિતિ સર્જાતી હોય છે. જ્યારે ભારતમાં સૌપ્રથમ વખત ઓકટોબર ૨૦૨૦માં મહારાષ્ટ્રમાં જણાયેલો ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઇન બ્રિટિશ વેરિયન્ટ કરતાં પણ ઝડપથી સંક્રમણ કરવાની ક્ષમતા ધરાવે છે સાથે તેની ઘાતક અસરોથી મૃત્યુ દર પણ વધે છે.
કોરોનાની સારવાર કરતાં તબીબોના કહેવા પ્રમાણે અનેક યુવા મધ્યમ ઉંમર ધરાવતા લોકો એકાએક શ્વાસ રૂંધાવાની ફરિયાદ કરે છે અને હોસ્પિટલમાં સારવાર શરૂ થાય એના એકાદ બે દિવસમાં મૃત્યુ પામે છે. કોરોનાની સેકન્ડ પીકમાં સેંકડો દર્દીઓમાં વાયરલ લોડ વધારે હોવાના તેમજ કેટલાય કિસ્સામાં એચઆરસીટીના રિપોર્ટમાં ફેફસામાં એકાએક સંક્રમણ પ્રસરી રહ્યાનું નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ ધરાવતા લોકોમાં જોવા મળ્યું છે. ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઇનના મહારાષ્ટ્રમાં જ ૧૭૫ વેરિયન્ટ જોવા મળ્યા છે તો દસ દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળમાંથી લેવાયેલા નમૂનાઓમાં ૧૩૩ વેરિયન્ટ જોવા મળ્યા છે. ગુજરાતમાં ૧૬ પ્રકારના વેરિયન્ટ સક્રિય છે. હાલ આ વેરિયન્ટની ચેઇન તોડવામાં મુંબઈને લોકડાઉનથી આંશિક સફળતા મળી છે. જ્યારે ગુજરાતમાં હાલ સૌ સ્વૈચ્છિક લોકડાઉનથી ચેઇન તોડવા મથી રહ્યા છે.