ગાંધીનગરઃ ભારતમાં ૨૩ માર્ચના રોજ ‘શહીદ દિન’ હોય છે. આ દિવસે દેશવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે . શહીદ ભગતસિંહ લાહોરથી ભાગવા માગતા હતા ત્યારે તેમને એક ગુજરાતી પરિવારની મહિલા દુર્ગાદેવીએ મદદ કરી હતી.
ભગસિંહે વાળ કપાવ્યા હતા પણ તેમને પોલીસ ઓળખી ન જાય તે માટે તેમના પરિવાર તરીકે કોઇએ ટ્રેનમાં સાથે બેસવું જરૂરી હતું ત્યારે દુર્ગાબેને તેમને પારિવારિક સભ્ય તરીકે સાથ આપવાનું નક્કી કર્યું અને બંને સફળતાપૂર્વક લાહોર રેલવે સ્ટેશને સાથે જ ગયા હતા. ભગવતીચરણ વોરા કે જે ગુજરાતી હતા, તેમને દુર્ગાબેન પરણેલાં હતા, તેમની માતૃભાષા બંગાળી હતી અને તેઓ બંગાળના હતા. દુર્ગાબેન ક્રાંતિકારીઓમાં દુર્ગાભાભી તરીકે જાણીતા હતા અને તેમણે ભગતિસંહને કપાળે તિલક કરીને તેમના ઓપરેશનમાં આશીર્વાદ આપ્યા હતા. તેઓ નવજવાન ભારતસભાના સભ્ય તરીકે ૧૬ નવેમ્બર ૧૯૨૬ના રોજ ભગતિસંહ સાથે જોડાયા હતા.
દુર્ગાભાભી ભુલાઈ ગયાનો ઈતિહાસ છે તેમ ઈતિહાસવિદ્ રામજીભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, એક બાજુ ગાંધીજીને અનુસરીને અહિંસામાં માનનારા ગુજરાતીઓ હતા જ્યારે બીજી બાજુ ભગતસિંહને ફોલો કરનારા પણ ઘણાં હતા. વળી ભગતસિંહના ભાઈ કુલતારસિંહ ધંધૂકાની શાળામાં વર્ષ ૧૯૭૫ની આસપાસ આવેલાં તે આજે પણ ધંધુકાવાસીઓને યાદ છે.