અમદાવાદઃ હજુ રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, પણ તે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની વચ્ચે અસ્તિત્વની કપરી કસોટીને લઈને જંગ છેડાયો છે. બન્ને નેતાઓ પોતાના જૂથ અને રાજકીય ખેલ દ્વારા એકબીજાના પગ કાપી રહ્યાં હોવાનું મનાય છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં હવે રાજ્યસભામાં કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતે તેવી શક્યતા છે, તેવામાં કોણ એકડો ખરો કરાવે તે મુદ્દે રાજરમત શરૂ થઇ છે.
અહેવાલ અનુસાર, આ ખેલના ભાગરૂપે જ કાકડીયાના પત્નીનું ભરતસિંહના નામોલ્લેખ સાથેનું નિવેદન બહાર આવ્યું છે. ધારીના રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યના પત્ની કોકિલાબેન કે જે પોતે અમરેલી જિલ્લાનાં કોંગ્રેસની નેતા છે તેમણે ઘટસ્ફોટ કર્યો કે ભરતસિંહની સૂચનાથી તેમના પતિએ રાજીનામું આપ્યું હતું. જોકે સૂત્રોના મતે ભરતસિંહના હથિયાર હેઠા પડે અને શક્તિસિંહનો રસ્તો સરળ થાય તે માટે આ ખેલ ખેલાયો હતો.
કોંગ્રેસના મોટા ભાગના લોકો માને છે કે શક્તિસિંહ ગોહિલને જ ફોર્મ પાછું ખેંચવાની ફરજ પડાઇ શકે છે, કારણ કે જો ભરતસિંહને નામોશી સહન કરવાનો વારો આવે તો કોંગ્રેસ વધુ તૂટી શકે છે. અગાઉ જ્યાં સુધી ભરતસિંહનું નામ ઉમેદવાર તરીકે જાહેર ન થયું ત્યાં સુધી કોંગ્રેસના ૩૫ ધારાસભ્યોએ ભરતસિંહની તરફેણમાં નિર્ણય લેવા દબાણ ઊભું કર્યું હતું. તેના પરથી ક્યાસ આવી જાય કે ફોર્મ પાછું ખેંચાવવાની બાબતે પણ આ ધારાસભ્યો હાઇકમાન્ડ પાસે પોતાનો કક્કો ખરો કરાવવાની તાકાત ધરાવે છે.
ગુજરાતના ‘સિંધિયા’થી કોંગ્રેસ ડરી
મધ્ય પ્રદેશની પેટર્ન પર ગુજરાતમાં પણ ઓપરેશન કમળ શરૂ થઇ ગયું હતું. ગુજરાત કોંગ્રેસના એક મોટા ગજાના નેતા મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કેસરિયા કરશે તેવી વાતો વહેતી થઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના ૩૫ ધારાસભ્યોએ રાજ્યસભા માટે અગાઉ આવેલાં રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલના નામોને લઇ રાજીનામાંની ધમકી પણ આપી હતી. આ પછી કોંગ્રેસ નેતાગીરીએ રાજીવ શુક્લાનું નામ રદ કરીને ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામ પર મહોર મારી દીધી. જોકે કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક વગદાર નેતા હજુ અસંતુષ્ટ હોવાથી તેમનું જૂથ ભાજપના સંપર્કમાં હોવાનું મનાય છે. એક અહેવાલમાં ભાજપના સિનિયર નેતાને ટાંકીને જણાવાયું હતું કે ગુજરાત કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતા હાલ અમારા સંપર્કમાં છે અને તે ગમે ત્યારે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. અહેમદ પટેલ સામેની સખત નારાજગીને કારણે આ નેતા ઘણાં સમયથી અસંતુષ્ટ છે અને તેથી તેઓ કોંગ્રેસનો હાથ છોડી દે તેવી સ્થિતિ છે.
ત્રિપુટીએ કોંગ્રેસને ખાડામાં નાંખી?
રાજ્યસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાં પડતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની ઘોર નિષ્ફળતા ફરી એક વાર સામે આવી છે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ પાર્ટીના ધારાસભ્યોને એકજૂથ ટકાવવામાં સરિયામ નિષ્ફળ નીવડયા છે. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા સંગઠનને સાચવવાને બદલે એમના ગોડફાધર ભરતસિંહ સોલંકીને સાચવવામાં જ વ્યસ્ત રહ્યા.
વિપક્ષી નેતા ધાનાણી વિધાનસભાના ફ્લોર મેનેજમેન્ટમાં નાપાસ થયા. જ્યારે પ્રભારી રાજીવ સાતવે રાજ્યસભામાં પોતાની સીટ પાક્કી કરવાની લ્હાયમાં પ્રભારી પદની જવાબદારી ચૂક્યા છે. પરિણામે આ ત્રિપુટીએ ગુજરાત કોંગ્રેસની ઘોર ખોદી નાંખી છે. અંદરોઅંદરની જૂથબંધીને કારણે વિપક્ષી નેતા ધાનાણી અને પ્રદેશ પ્રમુખ ચાવડા ક્યારેય કોઈ મુદ્દે એકમત જોવા મળ્યા નથી.
રાજ્યસભા બેઠક જીતવા એક ઉમેદવારને ૩૫.૧ મત જરૂરી
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર ધારાસભ્યો મતદાન કરે છે. તેમણે મતદાન વેળા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્રેફરન્સ આપવો પડે છે. ફર્સ્ટ પ્રેફરન્સના કુલ વોટની ગણતરી પછી બીજાની તુલનાએ જે સભ્યને ૧૦ વોટ વધુ મળે તેને વિજયી ગણવામાં આવે છે.
ઉદાહરણ આપીને સમજીએ તો, ફર્સ્ટ પ્રેફરન્સના ૧૦૦ મત પડે તો એકને ૩૦, બીજાને ૩૦ અને ત્રીજાને ૪૦ ફર્સ્ટ પ્રેફરન્સના મત મળે તો ત્રીજાને વિજયી ગણવામાં આવે છે. ગુજરાતમાં અત્યારે કુલ ૧૭૫ ધારાસભ્ય છે. તેમાં કોન્ગ્રેસના ૭૩ હતા. આમાંથી પાંચ સભ્યોના રાજીનામા પડી જતાં તેમને બે બેઠક મળવાની શક્યતાનો છેદ ઉડી ગયો છે. પાંચ સભ્યોના રાજીનામા પડી જતાં તેમનો મતાધિકાર છીનવાઈ ગયો છે. હવે ગૃહની વર્તમાન સંખ્યા મુજબ, એક ઉમેદવારને વિજયી થવા માટે ૩૫.૧ મત મળે તે જરૂરી છે.
કોન્ગ્રેસ પાસે એક જ બેઠક જીતી શકાય તેટલા મત છે. બીજી બેઠક માટે મત ઓછા પડે તેમ છે. છોટુ વસાવાની બીટીપીના બે અને એનસીપીના એક સભ્ય કોંગ્રેસને ટેકો આપે તેમ નથી. ભાજપે તેમને વિશ્વાસમાં લઈ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કોંગ્રેસ પાસે અપક્ષ જિજ્ઞેશ મેવાણી સહિત કોન્ગ્રેસ પાસે ૬૯ મત છે. ચૂંટણી સુધીમાં એકાદ-બે ધારાસભ્યોના રાજીનામા પડવાની શક્યતા છે. આ સંજોગોમાં તો કોંગ્રેસ માટે બીજી બેઠક પર વિજય લગભગ અશક્ય છે. આથી જ ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે ફર્સ્ટ પ્રેફરન્સના મતની ખેંચતાણ છે. જેને ફર્સ્ટ પ્રેફરન્સ મળશે તેનો વિજય જ નિશ્ચિત છે.