અમદાવાદઃ હાલમાં ભાજપમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે ત્યારે કેન્દ્રિય નેતાગીરીએ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ આદરી છે. પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક માટે હાઈકમાન્ડે કેન્દ્રિય પ્રધાન રવિશંકર ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે. પેટા ચૂંટણીના પરિણામો બાદ હાઈકમાન્ડ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીથી નાખુશ છે. આ જોતા વાઘાણીની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે બૂથ સમિતિ અને મંડલ સમિતિઓની રચના પૂર્ણ થઈ છે. ગુજરાતમાં ત્રણ સભ્યોની ટીમે ચાર ઝોનમાં ફરીને શહેર-જિલ્લા પ્રમુખો માટે સ્થાનિક આગેવાનોના મત જાણ્યા છે. જોકે, અંદરોઅંદરની ખેંચતાણને લીધે હજુ જિલ્લા અને મહાનગરના પ્રમુખ જાહેર થઈ શક્યા નથી. નિર્ધારિત સમય કરતાં બધુંય પાછળ ધકેલાયું છે. હવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ વખતે ફરી પાટીદારને પ્રમુખપદ સોંપાય તેવી શક્યતા નહીંવત્ છે. ભાજપમાં અત્યારથી અટકળો ચાલી રહી છે કે ભાજપ પ્રદેશ સંગઠનનો તાજ કોના શિરે હશે.