ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપે ગયા શનિવારે ૨૮૩ સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી છે. જેમાં પાલિકા પંચાયતોમાં જેમની ટિકિટો કાપી લેવાઈ છે તેવા પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પ્રમુખોને સમાવેશ કરાયો છે. ભાજપમાં આ પ્રકારની જમ્બો કારોબારીને બેસાડવા માટે કોબા સ્થિત પ્રદેશ કાર્યાલયમાં જગ્યા અને વ્યવસ્થા પણ ખુટી પડે તેમ છે. આથી, કોરોના કાળમાં તેની પહેલી બેઠક ક્યાં મળશે તે પણ સવાલ છે.
ભાજપના પોતાના આંતરિક બંધારણ મુજબ ગુજરાત સંગઠનમાં પ્રદેશ કારોબારી સભ્યોની સંખ્યા ૭૮ હતી જેમાં એકનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય પ્રધાન, પ્રધાનો અને પૂર્વ મંત્રી હોદ્દેદારોને સમાવતા પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની સંખ્યા પણ ૫૩ની ૫૩ જ રહી છે. જોકે, પ્રદેશ આમંત્રિતોની સંખ્યા ૬૨થી વધીને ૧૫૧એ પહોંચી ગઈ છે. આથી, અગાઉ ૧૯૩ સભ્યોની કારોબારી હવે ૨૮૩ની થઈ હોવાનું ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં ૧૭ મહિના પછી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવાની છે. આથી, બેથી વધુ વખત પ્રદેશ કારોબારીની બેઠક મળશે તે નિશ્ચિત છે. પ્રદેશ અધ્યક્ષપદ સંભાળ્યાના આઠ મહિના પછી પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ કારોબારીની રચના કરી છે. આથી, કારોબારીની પહેલી બેઠક ક્યાં મળે છે તેના સૌનું ધ્યાન છે. કારણ કે પ્રદેશ કાર્યાલયમાં એક ૨૫૦થી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતો એક પણ ખંડ નથી.
૭ મોરચાના નવા સુકાની
આ પૂર્વે શુક્રવારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત સંગઠનમાં બાકી રહેલા સાતેય મોરચાના નવા સુકાનીઓ જાહેર કર્યા હતા. જેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે રાજકોટ જિલ્લા પ્રમુખપદેથી પ્રશાંત કોરાટને પ્રમોટ કરાયા છે જ્યારે મહિલા મોરચાના પ્રમુખપદે અમદાવાદના ડો. દિપિકાબહેન સરડવાની પસંદગી કરવામાં આવી છે. મોરચાની નવી રચના સાથે પાટીલે ચાર મહામંત્રીઓ વચ્ચે ગુજરાતના ચારેય ઝોનની વહેંચણી પણ કરી હતી. જેમા પ્રદિપસિંહ વાઘેલાને અમદાવાદની જવાબદારી મળી છે.
અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખપદે અમદાવાદના ડો. પ્રદ્યુમન વાઝા, અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રમુખપદે નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા, કિસાન મોરચાના પ્રમુખ તરીકે સાબરકાંઠાના હિતેશ પટેલ, બક્ષીપંચ મોરચામાં રાજકોટથી પૂર્વ મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ અને લઘુમતી મોરચામાં સુરતના ડો. મોહસીન લોખંડવાલાની નિમણૂંક કરવામાં આવી છે.