વડોદરાઃ લોકસભાની વડોદરા બેઠક વિસ્તારમાં આવતા વાઘોડિયા તાલુકામાં ચૂંટણી પ્રચાર અર્થે આયોજિત સભામાં તાજેતરમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સત્તાના મદમાં ધમકી આપી હતી કે, દરેક બુથમાં કમળના નિશાન નહીં નીકળે તો ગેરકાયદે રહેનારાઓને ઠેકાણે પાડી દઈશ.
મધુના નિવેદન પછી કોંગ્રેસે મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. ધમકીભર્યા ભાષણોને લઈને વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય અગાઉ વિવાદમાં રહી ચૂક્યા છે ત્યારે છઠ્ઠીએ વધુ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ૩ એપ્રિલનો હોવાનું જાણવા મળ્યું હતું. મધુ વીડિયોમાં કહેતા નજરે પડે છે કે, લોકસભાની ચૂંટણી છે. આપણે કમળ ખીલાવવાનું છે. જો બુથમાં કમળના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લો કે જેઓ પણ ગેરકાયદે રહે છે તેમને ઠેકાણે પાડી દઈશ. હું તો લડતો નથી, હું તો લડાવું છું અને લડવા માટે દાદાગીરી કરવાનો છું. જેઓને વર્ષાથી અમે પાલવી રહ્યાં છીએ.
પાણીની લાઈન આપી. લાઈટ આપી બધું જ આપ્યું છે. પંચાયતમાં વેરો નથી ભરતા તમે ભાઈ. ધ્યાન રાખી લેજો હું કોને કહેવા માગી રહ્યો છું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

