ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમાતા તેમનો અભિવાદન સમારોહ ભાજપના અમદાવાદના પ્રદેશ કાર્યાલય પર યોજવામાં આવ્યો હતો. સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આનંદીબહેનના પ્રદાનની, વહીવટી કુશળતા અને માર્ગદર્શનની ભરપેટ પ્રશંસા કરતાં આનંદીબહેન લાગણીશીલ બન્યાં હતાં. ‘પહેલાં તો હું દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આભાર માનું છું બોલતાં પણ ભાવુક બન્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, મારી ભાજપમાં આવવાની કોઈ ઇચ્છા ન હતી, પણ મોદીએ મને જોડાવાનું માર્ગદર્શન આપ્યું હતું અને હું પક્ષમાં જોડાય ગયા પછી મારું નસીબે મને આ સ્થાને પહોંચાડી છે.
૧૧ ગુજરાતીઓ ગવર્નરપદે રહી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશનાં ગવર્નર (રાજ્યપાલ) તરીકે ગુજરાતના પૂર્વ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની નિયુક્તિ થઇ છે તો ભૂતકાળમાં કુમુદબહેન જોષી આંધ્ર પ્રદેશમાં રાજ્યપાલપદે રહી ચૂક્યાં હતાં. દરમિયાન એક ડઝન ગુજરાતીઓ આવું બંધારણીય પદ સંભાળી ચૂક્યા છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા. મુનશી) ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. આઝાદી પછીનાં દિવસોમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૯૪૮થી ૧૯૫૨માં મદ્રાસ સ્ટેટના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. એ ઉપરાંત સર ચંદુલાલ માધવલાલ ત્રિવેદી ૧૯૪૬થી ૧૯૫૩ દરમિયાન ઓડિશા, પંજાબ અને આંધ્રના ગવર્નર રહ્યા હતા. જામનગરના મહારાજા હિંમતસિંહજી હિમાચલ પ્રદેશના પ્રથમ ગવર્નરપદે (૧ માર્ચ ૧૯૫૨થી ૩૧ ડિસેમ્બર ૧૯૫૪) રહ્યા હતા. તેઓ જામ રણજીતસિંહજીના પિતરાઇ અને દુલીપસિંહજીના ભાઇ હતા.
કોંગ્રેસ સાથે સંકળાયેલા જયસુખલાલ હાથી પંજાબના ગવર્નરપદે રહેલા. તો કે. કે. શાહ તમિલનાડુના, અને ખંડુભાઇ દેસાઇ આંધ્રપ્રદેશના. ૧૯૭૭માં જનતા સરકાર રચાઇ તે પછી તમિલનાડુના ગવર્નરપદે પ્રભુદાસ પટવારીની નિયુક્તિ થઇ હતી. કટોકટી વખતે ડાઇનેમાઇટ કેસમાં તેમનું નામ પણ જ્યોર્જ ફર્નાન્ડીઝ વગેરે સાથે સંકળાયું હતું. દક્ષિણ ગુજરાતના કુમુદબહેન જોશી આંધ્રપ્રદેશનાં ગવર્નર બન્યા હતાં. ગુજરાતી મહિલાને આ પદે નિયુક્ત કરાયાં હોય તેવી પહેલી ઘટના હતી.
ભાજપના ગુજરાતના પૂર્વ નાણા પ્રધાન, વિધાનસભા સ્પીકર વજુભાઇ વાળા ૨૦૧૪માં, દિલ્હીમાં ભાજપ સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી કર્ણાટકના રાજ્યપાલ નિમાયા હતા. વજુભાઇએ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે વિધાનસભા બેઠક ખાલી કરી આપી હતી.
એ પછીના દિવસોમાં એમને પ્રધાનપદ ન આપીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા હતા. મુખ્યપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા આ અગ્રણીને છેવટે રાજ્યપાલ બનાવીને ગુજરાત બહાર મોકલી દેવાયા છે અને હવે ભાજપના બીજાં અગ્રણી આનંદીબહેનને પણ રાજ્ય બહાર મોકલાયાં છે. જનતા પક્ષ પછી ભાજપ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ (મુકંદ આયર્ન) વીરેનભાઇ શાહ પણ રાજ્યપાલપદ શોભાવી ચૂક્યા હતા. તેઓને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવાયા હતા.