કલોલઃ કલોલ તાલુકાના જામળા પ્રાથમિક શાળામાં પીરસાયેલા ભાતમાંથી મરેલો ઉંદર નીકળતા ખળભળાટ મચી ગયો હતો. કલોલ તાલુકાના જામળાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી પ્રમાણપત્ર મુજબ પોષણ યુક્ત આહાર ૧૯મી એપ્રિલે બાળકોને પીરસાયો હતો. વિદ્યાર્થીઓની થાળીમાં ભાત પીરસાય તે પહેલાં શાળાનાં એક શિક્ષિકાબહેને ભાતનું ચેકિંગ કર્યું તો કાળા લાકડા જેવું એમાં કંઈક દેખાયું. બહેને એ બહાર કાઢતાં તેમનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એ કાળી વસ્તુ મરેલો ઉંદર હતો. આ વાતની જાણ આખા તાલુકામાં થતાં સ્થાનિક આગેવાનો અને શિક્ષણ અધિકારીઓ શાળાએ દોડી ગયા હતા. આ અંગેની વધુ તપાસ આદરવામાં આવી છે.

