ભાદરણઃ ગામમાં લોકડાઉન સુધી જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા કરાઈ છે. આ વ્યવસ્થામાં એનઆરઆઈ પણ તેમનાથી બનતું યોગદાન આપી રહ્યાં છે. ભાદરણમાં દાદાની ખાડના અને લંડન રહેતા રસિકભાઈ પટેલે ૧૬મી એપ્રિલે ૯૦મા જન્મદિને ૬૯૦ લોકોને બે સમયનું પાંચ દિવસનું ભોજન આપવાનું જાહેર કર્યાં પછી ૩-૩ દિવસનો ઉમેરો કરતાં દસ દિવસથી વધારે આ આયોજનમાં ફાળો આપ્યો છે. શાંતિલાલ પ્રભુદાસ પટેલ (યુએસએ)ના ૮૯મા જન્મદિને તેમણે ૬૯૦ જેટલા શ્રમજીવીઓને ૩ દિવસ માટે બે ટંક ભોજન પૂરું પાડવાનું જણાવ્યું હતું. હંસાબહેન જ્યોતિકા (યુએસએ)એ પણ તેમના ભત્રીજાની પૂણ્યતિથિએ ૩ દિવસનું બે ટંક શ્રમજીવીઓને ભોજન કરાવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે ૬૫૦ માણસના બે સમયના ભોજનનો ખર્ચ રૂ. ૩૦ હજાર જેટલો થાય છે.
ભાદરણના ગામવાસીઓ અને NRG આ આયોજનમાં ખૂબ જ સંવેદનશીલતા સાથે જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સામે લડવા ભાદરણ કો. ઓપરેટિવ બેંકે સીએમ રાહત ફંડમાં રૂ. ૧ લાખ ૧૧ હજાર ૧૧૧નો ચેક પણ આપ્યો છે.