ગાંધીનગરઃ દેશના સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગસ્ટ પહેલાં પ્રદેશમાં નવા હોદ્દેદારોની નિમણૂક થશે એવી ભાજપમાંથી ઊભી થયેલી વાત ‘અફવા’ સાબિત થઈ છે. નવા પ્રદેશ પ્રમુખ ૧૮મી ઓગસ્ટથી ચાર દિવસ વોલ્વો બસ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળશે તેવી જાહેરાત ૧૭મીએ થઈ હતી. હવે શ્રાવણ ઉતર્યા પછી ભાદરવા માસમાં ભાજપમાં નવી નિમણૂકો થશે તેવી નવી અટકળો કમલમથી આવી રહી છે.
ભાજપના પ્રદેશ કાર્યાલયમાં સોમવારથી બે દિવસ માટે પંચાવન નગરપાલિકાઓમાં અઢી વર્ષની બીજી ટર્મ માટે નવા પ્રમુખો નક્કી કરવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી. સતીષની સૂચક હાજરી હતી. પહેલીવાર રાષ્ટ્રીય સહસંગઠન મંત્રીએ સૌથી વધુ રોકાણ અહીં કર્યું હતું. હવે ફરીથી વી. સતિષ દિલ્હીથી ગુજરાતમાં આવ્યા છે. સોમવારે વિધાનસભા પેટાચૂંટણીઓ સંદર્ભે નિરીક્ષકોની પણ બેઠક મળી હતી. આ બેઉ બેઠકોમાં મુખ્ય
પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો, ઈન્ચાર્જ પ્રધાનો ઉપસ્થિત હતા.
પાટિલ મોદીને રસ્તે?
વિધાનસભાની ચૂંટણીમાં ઉતરતા પૂર્વે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બહુચરાજીથી વિવેકાનંદ વિકાસ યાત્રા યોજી હતી. યાત્રામાં બસમાં મહિનાઓ સુધી સેંકડો કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં અનેક નવા ઉમેદવારો ભાજપે ઉતાર્યા હતા. નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ પણ એ જ રસ્તે આગળ વધી રહ્યાનું ભાજપમાં કહેવાય છે.
અનેક જૂથવાદમાં ખદબદ સૌરાષ્ટ્રમાં પાટિલ કાર્યકરોને સાંભળીને સંગઠનમાં જવાબદારીની વહેંચણી કરી
શકે છે.
યાત્રા નવો ચીલો ચાતરશે?
ગુજરાતના નવા ભાજપ પ્રમુખ સી આર પાટિલ સૌરાષ્ટ્રની યાત્રા શરૂ કરી રહ્યા છે. સોમનાથ દર્શન સાથે શરૂ થનારી ચાર દિવસની આ યાત્રામાં ભાજપના વર્તમાન નેતા-કાર્યકર્તાઓ અને જૂના સંઘીઓ સાથેની મુલાકાત તથા ધાર્મિક સ્થળોને આવરી લેવાશે. આ કોઇ ચીલાચાલુ યાત્રા હોય એવું પ્રથમ નજરે નથી લાગતું. સૌરાષ્ટ્રમાં તમામ સ્થળે સી આર પાટિલના ભવ્ય સ્વાગત કાર્યક્રમો યોજાશે. અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે.
ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પ્રમુખો જિલ્લાઓની મુલાકાતે જતા હોય છે પરંતુ આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો થયાં નથી. અન્ય એક નેતાના મતે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા હોય તેવો માહોલ બનાવાઇ રહ્યો છે. ભવિષ્યમાં બનનારી અમુક ઘટનાઓ આ પ્રવાસને આધારે બની શકે.