અમદાવાદ: ગુજરાતમાં ખેડૂતો, ટ્રસ્ટ, ધર્મ સ્થાનકો, સરકારી અને ખાનગી માલિકીની જમીનો હડપ કરવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. જેની સામે રાજ્ય સરકારે ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટમાં કાનૂનની કડક જોગવાઇઓના અમલની કાર્યયોજના જાહેર કરી છે. આ કાયદા પ્રમાણે ગુજરાતમાં દોષિતોને ઓછામાં ઓછી ૧૦ વર્ષની અને મહત્તમ ૧૪ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. વળી, આવા કેસનો ફેંસલો છ મહિનામાં જ આવે તે માટે તપાસથી માંડી દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા પણ નક્કી કરાઇ છે.
મુખ્ય પ્રધાન રૂપાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ - ૨૦૨૦ની કાયદાકીય જોગવાઇઓનો ૧૬ ડિસેમ્બર ૨૦૨૦થી કડક અમલ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્વ છે.
આ કાયદા હેઠળ દોષિત ઠરે તેને ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલક્તોની જંત્રીની કિંમત સુધીના દંડની જોગવાઈ છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધ્યક્ષ, જિલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.ઓ આ સમિતિના સભ્યો રહેશે તથા જિલ્લાના સચિવ તરીકે કાર્ય કરશે. એક વિશેષ જોગવાઇ એવી પણ કરાઈ છે અને જિલ્લામાં ક્લેક્ટરને અને રાજ્ય સરકારને આપમેળે - સુઓમોટો પગલાં લેવાની સત્તા અપાઈ છે. જેથી રાજ્યમાં ભૂમાફિયાઓ સામે કોઇની પણ શેહશરમ કે દબાણ આપ્યા સિવાય પગલાં ભરી શકાશે.
આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર ૧૫ દિવસે યોજાશે. કમિટી સમક્ષ સભ્ય સચિવ જે ફરિયાદો રજૂ કરશે તેની તપાસ માટે જે-તે પ્રાંત અધિકારીએ અન્ય સક્ષમ અધિકારીને તપાસ સોંપશે. આવી ફરિયાદોની તપાસ લાંબા ગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે. તદાનુસાર, તપાસ અધિકારીએ કોઇ પણ વિભાગ પાસેથી પાંચ દિવસમાં માહિતી મેળવવાની રહેશે. આવી તપાસમાં પ્રથમદર્શી રીતે ફરિયાદ કરનારનું હિત સંક્ળાયેલું છે કે કેમ તેમજ મહેસૂલી ટાઇટલ તે વ્યક્તિનાં નામે છે અને ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે એવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતિને તપાસ અધિકારી સોંપશે. એટલું જ નહીં, બળપ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપિંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તેનો પણ અહેવાલ આપશે.
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની કમિટી સમક્ષ આવો તપાસ અહેવાલ રજૂ થાય તેના ૨૧ દિસમાં કમિટીએ નિર્ણય લેવો પડશે. આ કમિટીએ નિર્ણય લેવો પડશે. આ કમિટી એવા નિષ્કર્ષ પર આવે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત આવરી લેવા યોગ્ય આ ગુનો છે ત્યારે અને કમિટી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે આવા નિર્ણયના એક સપ્તાહ - ૭ દિવસમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવી પડશે. આ સાથે ફરિયાદ નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાવાનું રહેશે. આ કાયદા અન્વયેના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાના અધિકારી કરશે.
મુખ્ય પ્રધાને ઉમેર્યું કે જમીન પચાવી પાડવાના આવા કેસોમાં ગુનેગારને ઝડપી શિક્ષા થાય અને ન્યાય તોળાય કે આવશ્યક છે. આ હેતુસર આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ ‘અદાલત’- સ્પેશિયલ કોર્ટની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે. આવી વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોનો વધુમાં વધુ ૬ મહિનામાં નિકાલ કરવાનો રહેશે.