અમદાવાદ: અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમની જિંદગી બચી ગઇ છે. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171માં લંડન પરત ફરવાનાં હતા. અંકલેશ્વરથી એરપોર્ટ પહોંચતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકમાં તેઓ ફસાઇ ગયાં અને માત્ર 10 મિનિટ માટે ફ્લાઈટ ચૂકી ગયા. આમ પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો. ફ્લાઈટ ચૂકી જતાં એક સમયે તો તેમણે બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પરંતુ આ પછી તેઓ અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા
ત્યારે રસ્તામાં ક્રેશની વાત જાણી અને પોતાનો જીવ
બચી જવાથી રાહત અનુભવી હતી. ભૂમિ ચૌહાણે કહ્યું કે, ‘મારું શરીર ધ્રુજી રહ્યું છે... અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી.’