અમદાવાદઃ જ્યોતિષશાસ્ત્રમાં કુંડલીદોષ પર થતી ગેરસમજો અંગે જાગૃતિ લાવવાનું કાર્ય આ વિષયના નિષ્ણાતે હાથ ધર્યું છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયના જ્યોતિષ વિભાગના પ્રાધ્યાપક ડો. ચેતન પંડ્યાએ જણાવ્યું હતું કે, મંગળદોષ અને નાડીદોષ જોઈને લગ્નસંબંધી નિર્ણયો કરવા જોઈએ નહીં. શાસ્ત્રમાં મંગળદોષના અપવાદ અને મંગળદોષના નિવારણનું માર્ગદર્શન પણ આપેલું છે. સમજણ વગરના જ્યોતિષશાસ્ત્રના ઉપયોગને કારણે ઘણીવાર સારા પાત્રો ગુમાવ્યાનો અફસોસ આખી જિંદગી રહેતો હોય છે. મંગળદોષ હોતો નથી છતાં જ્યોતિષીના જ્ઞાનના અભાવે આપણે સારા પાત્રો ગુમાવવાનો વારો આવતો હોય છે અને મોટી ઉંમર સુધી કુંવારા રહેવું પડતું હોય છે. કેટલાક કિસ્સાઓમાં પાછળથી ખબર પડે છે કે મને મંગળ દોષ હતો જ નહીં.