અમદાવાદ ઃ વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલે ગયા શનિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પછી સાંજના સમયે તેમણે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદી તેમજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે અમદાવાદ એરપોર્ટ પર એક સુદીર્ઘ મિટિંગ કરી હોવાનું સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું. પરિણામે આગામી દિવસોમાં ગુજરાતમાં મિત્તલની આર્સેલર મિત્તલ કંપની કોઈ મોટો પ્રોજેક્ટ નાંખે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરદાર પ્રતિમાની મુલાકાતે
ભારતીય સેનાની ત્રણેય પાંખની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેવડિયા પહોંચ્યા હતા. દરમિયાનમાં ૫૩.૩ બિલિયન ડોલરની આવક ધરાવતી વિશ્વની સૌથી મોટી સ્ટીલ અને માઈનિંગ કંપની આર્સેલર મિત્તલના ચેરમેન-સીઇઓ લક્ષ્મી મિત્તલે પણ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણોને અદ્ભૂત, અવર્ણનીય અને અકલ્પનીય ગણાવતા વડા પ્રધાન મોદીના વખાણ કર્યા હતા.