કિશોરને શિક્ષક પર ગુસ્સો ચઢ્યો તો સાથી વિદ્યાર્થીને છરીના ૩૦ ઘા ઝીંકી જીવ લીધો

Wednesday 27th June 2018 08:02 EDT
 
 

વડોદરાઃ શહેરના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ૨૨મી જૂને બપોરની સ્કૂલ શરૂ થતાં પૂર્વે ધોરણ-૯માં નવું એડમિશન લેનાર દેવ તડવીની શાળાના ધો. ૧૦માં ભણતા વિદ્યાર્થીએ શૌચાલયમાં જ ઘાતકી હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. ૨૨મીએ મોડી રાત્રે ધો. ૧૦ના વિદ્યાર્થીને વલસાડથી તેના જ પરિવારજનો વડોદરા લઈ આવ્યા અને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીએ સ્કૂલને બદનામ કરવાના અને શાળા બંધ કરાવવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
બદલાની ભાવના
વિદ્યાર્થીને તેના કુટુંબે પોલીસને હવાલે કર્યા પછી વિદ્યાર્થીએ પહેલાં તો વાતને ગોળ ગોળ ફેરવતાં જણાવ્યું હતું કે, શાળા શરૂ થઈ એ પછી બે ત્રણ દિવસમાં જ તે હોમવર્ક કરીને ગયો ન હતો. જેથી શાળાનાં શિક્ષકે એને ઠપકો આપ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા અને મામલો બિચકતાં ૧૦૦ નંબર પર કોલ કરતાં પોલીસ પણ આવી હતી.
જોકે પોલીસની સમજાવટ પછી શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરીને મારા માતા-પિતાએ સમાધાન કરી લીધું હતું.
આ બનાવ પછી શિક્ષકે તેને ઠપકો આપ્યાની વાત મગજમાંથી જતી ન હતી. તેથી સ્કૂલના શિક્ષક સામે બદલો લેવાની યોજના વિચારતો હતો. આ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીનું મર્ડર થઈ જાય તો સ્કૂલ બદનામ થઇ જાય અને સ્કૂલ બંધ કરવાનો પણ વારો આવે તે વિચારથી જ તેણે શાળાના કોઇપણ વિદ્યાર્થીનું મર્ડર કરવાનું વિચાર્યું હતું. તે પ્રમાણે દેવની હત્યા કરી હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોતાની મનની મુરાદ પૂરી કરવા હત્યારા વિદ્યાર્થીએ નવું જ એડમિશન લીધેલા નિર્દોષ દેવને છરીના ત્રીસેક ઘા ઝીંકીને કોઇ પણ વાંક ગુના વિના રહેંસી નાંખ્યો હતો.
નવું એડમિશન
મૃતક વિદ્યાર્થી દેવ તડવીએ સ્કૂલમાં નવું જ એડમિશન લીધું હતું. ૨૨મી જૂને સ્કૂલમાં તેનો ત્રીજો દિવસ હતો. મૃતક દેવ ભગવાનદાસ તડવી (ઉ.વ. ૧૪)ના માતા-પિતા આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં રહે છે. દેવ નાનપણથી વડોદરા શહેરના ગજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે રામનાથ મહાદેવ મંદિરવાળા ફળિયામાં મામા રોનક ગોપાલભાઈ તડવીનાં ઘરે રહીને ભણતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter