ભાદરણઃ ૧૯૪૨ની ૮મી ઓગસ્ટે ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટે 'ભારત છોડો આંદોલન' શરૂ થયું હતું. એ આંદોલનના સાક્ષી ચિત્રો સાડા સાત દાયકા પછી પણ ચરોતર પંથકના ભાદરણની દીવાલો પર છે. 'ક્વિટ ઈન્ડિયા', 'કરેંગે યા મરેંગે', 'અંગ્રેજો પાછા જાઓ'. જેવા સૂત્રો ભાદરણના તરવરિયા લડવૈયાઓએ દીવાલો પર ત્યારે કોતર્યા હતા. આજે ૭૫ વર્ષ પછીય ભાદરણની દીવાલો પરથી એ સંદેશાઓ નથી ગયા. બધા સૂત્રો નથી સચવાયા છતાં ઘણા દીવાલ પર સ્પષ્ટ વાંચી શકાય છે. અત્યાર સુધી એ સૂત્રો પર નવો કલર કરવામાં આવ્યો નથી, કેમ કે સમૃદ્ધ ગામને દીવાલો પરના એ કાળા અક્ષરનું મહત્ત્વ બરાબર ખબર છે. જોકે સૂત્રો સાચવવા માટે તેને ફ્રેમ કરીને જાળીબંધ કે પછી કાચબંધ કરવા જોઈએ. એનઆરઆઈના ગામ તરીકે જાણીતા ભાદરણના ઘણા પરિવારો પરદેશમાં રહે છે. એ પરિવારોમાંથી કોઈને આ સૂત્રો ભવિષ્યમાં પણ સચવાઈ રહે એ માટે પહેલ
કરવાનો વિચાર હજુ સુધી તો આવ્યો નથી.