લોર્ડ ભીખુ પારેખે મ.સ. યુનિવર્સિટીને ૬૦૦૦થી વધુ પુસ્તકો ભેટ આપ્યા

Wednesday 11th January 2017 06:24 EST
 
 

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે તેમના ૮૧મા જન્મદિવસે - ચોથી જાન્યુઆરીએ પોતાની પર્સનલ લાઈબ્રેરીમાંથી છ હજારથી વધુ પુસ્તકોની ભેટ આપી હતી. યુનિ.માં બનાવવામાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલીસી રિચર્સ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝને પાંચમીએ આ પુસ્તક અપાયા હતા. યુનિવર્સિટી તરફથી લાઈબ્રેરીને ‘લોર્ડ ભીખુ પારેખ પુસ્તકાલય’ નામ પણ આ દિવસે અપાયું.
યુનિ.ના ચાન્સેલર શુંભાગિનીરાજે ગાયકવાડની હાજરીમાં યુનિ. કેમ્પસમાં આ પુસ્તક દાન કરાયું હતું. જેમાં પારેખના ૮૧મા જન્મદિવસ નિમિત્તે કેક પણ કપાઈ હતી. એ પછી પસ્તકોની દાનવિધિ હતી. આ બુક્સમાં ભીખુ પારેખે પોતે લખેલા ૧૧ પુસ્તકો તેમજ પુસ્તકો લખતાં પહેલાં વિવિધ જાણકારી મેળવવા વસાવેલા અન્ય પુસ્તકોનો સમાવેશ થાય છે. ૧૦૦૦ પુસ્તકો એવા છે કે જે વિશ્વના જાણીતા લેખકોએ તેમને આપ્યા હતા. તેમાં ફર્સ્ટ એડિશન કહેવાય તેવા ૨૫ જેટલા પુસ્તકો પણ છે. એમાં કાર્લ માર્કસના પુસ્તક દાસ કેપિટલની ૧૮૬૧ની એડિશન પણ સામેલ છે.
ડો. ભીખુ પારેખે આ અંગે કહ્યું હતું કે, જ્યારે હું હયાત નહીં હોઉં ત્યારે મારી અંગત લાઈબ્રેરીનું શું થશે? તે બાબતે હું કાયમ વિચાર કરતો રહેતો હતો. બ્રિટનમાં કેટલાક લોકોએ મારા પુસ્તક કલેક્શનમાં રસ બતાવ્યો હતો, પરંતુ કોઈ યુનિવર્સિટીને મારી આખી લાઈબ્રેરી ડોનેટ કરવાની મારી ઈચ્છા હતી. મારી પાસે બ્રિટનમાં એક, દિલ્હીની બે યુનિ.ના વિકલ્પ હતા. આખરે મનોમંથન બાદ મેં જયાં મે કામ કર્યું છે તે વડોદરાની એમ. એસ. યુનિ. મને શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter