વડોદરાની વિશ્વામિત્રી નદીકાંઠે અસ્થિઓમાં સોના-ચાંદીના દાગીના શોધતા શ્રમજીવીઓ

Thursday 22nd April 2021 04:24 EDT
 

વડોદરાઃ કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિઓમાંથી સોના-ચાદીની ચિજવસ્તુઓ શોધવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ ઉપર હવે શ્રમજીવીઓની કતારો લાગી રહી છે. કોઇ વસ્તુ મળી આવે અને આવનારા દિવસો ભૂખમરામાં ટૂંકા થાય તેવી આશાએ શ્રમજીવીઓ અસ્થિઓના વિશ્વામિત્રી નદીમાં વિસર્જન કરતાં પહેલાં સોના - ચાંદીની વસ્તુઓ શોધવા નસીબ અજમાવી રહ્યા છે.
હિન્દુઓમાં મૃત્યુ પામનાર વ્યક્તિના મુખમાં તુલસીના પાન ઉપર સોનાની અથવા ચાંદીની વસ્તુ મુકવાની પરંપરા છે, ત્યાર બાદ નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવે છે. જ્યાં પરંપરા મુજબ વિધિ કર્યાં બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કારના બીજા અથવા ત્રીજા દિવસે પરિવારનો સભ્ય સ્મશાનમાં જાય છે અને જે ચીતા ઉપર અંતિમ સંસ્કાર કર્યાં હોય તે ચીતામાંથી અસ્થી લે છે અને ત્યાર બાદ ચાંદોદ ખાતે નર્મદા નદી અથવા પવિત્ર નદીએ જઇને વિસર્જન કરે છે અને પ્રિયજન માટે મોક્ષ પ્રાપ્તીની પ્રાર્થના કરે છે, જોકે, કોરોનાની મહામારીએ પરંપરાઓ ભૂલાવી દીધી છે. પીપીઇ કીટમાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઇ જવાય છે. સારવાર દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિએ પહેરેલી સોના-ચાંદીની વસ્તુ સાથે જ અગ્નિસંસ્કાર મોટાભાગે કરવામાં આવી રહ્યા છે. જે સોના-ચાંદીની વસ્તુઓ શોધવા વિશ્વામિત્રી નદીના કિનારે શ્રમજીવીઓ અસ્થીઓને ચારણીમાં ચાળી પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાના મૃતકના અસ્થિનું વિસર્જન વિશ્વામિત્રી નદીમાં થાય છે ઉલ્લેખનીય છે કે, પરિવારજનો કોરોનાના ડરથી પોતાના પ્રિયજનના અસ્થી લેવા જવા માટે સ્મશાનોમાં જતાં ગભરાઇ રહ્યાં છે. ત્યારે સ્મશાનોમાં કામ કરી રહેલા વ્યક્તિઓ અસ્થીઓના પોટલાવાળી રહ્યા છે. અને સમય મળે વિશ્વામિત્રી નદીમાં વિસર્જન કરી રહ્યા છે.
આ અસ્થિ ભરેલા પોટલાઓથી નદી કિનારે રહેતાં શ્રમજીવીઓ ચારણીથી અસ્થીઓ ચાળી સોના-ચાદીની વસ્તુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનામા મોતને ભેટેલા લોકોના અસ્થિ નદી કિનારાના શ્રમજીવીઓ માટે આજીવિકા શોધવા માટે સાધનરૂપ બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter