આણંદઃ ‘સદગુણીનું સન્માન કરવું એ ભક્તિ છે. વ્યક્તિ નહીં પણ સદગુણોની પૂજા થાય છે.’ એમ જશભાઈ સાહેબે મોગરી સ્થિત અનુપમ મિશનમાં યોજાયેલા શાલિન માનવરત્ન એવોર્ડ વિતરણ સમારોહમાં જણાવ્યું હતું. તાજેતરમાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર પાંચ મહાનુભાવોનું શાલિન માનવરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
અનુપમ મિશન દ્વારા આઇવીએફ નિષ્ણાંત ડો. નયના પટેલ, મુંબઈના પૂર્વ શેરીફ અને ઉદ્યોગપતિ ડો. મોહનભાઈ પટેલ, પદ્મશ્રી ડો. તેજસ પટેલ, અમદાવાદમાં ઝાલાવાડિયા પાટીદાર સમાજના મોભી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રેરક વાસુદેવભાઈ અને ડો. તેજન પટેલનું શાલિન માનવરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહના પ્રમુખ સ્થાનેથી એલીકોન કંપનીના વડા પ્રયાસ્વીન પટેલે જણાવ્યું હતું કે, ‘ખુશ થવું હોય તો ખુશી વહેંચવી પડે અને બીજાને ખુશી થાય તેવું કરવું પડે. કોઈપણ કામ દિલથી કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે. કોઈને ખુશ રાખશો તો સુખ આપોઆપ આવશે.’ પ્રા. ચંદ્રકાન્ત પટેલે જણાવ્યું હતું કે, ‘ગુણની કદર કરતાં ગુણ વધે છે. આવા ગુણીજનમાંથી સમાજને પ્રેરણા મળે છે.’ આ પ્રસંગે એવોર્ડ મેળવનાર મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.