મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનાં ભોપાળાં બહાર આવ્યાં

Thursday 26th November 2020 05:14 EST
 
 

અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને ગુજરાતની બબ્બે યુનિવર્સિટીઓના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને છેલ્લા દાયકાથી માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક (એમએસડબલ્યૂ)નો અભ્યાસક્રમ ચલાવતી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ સંચાલિત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન (મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ - એમજીએલઆઈ)નો ગુજરાત માહિતી આયોગ (ગુજરાત ઇન્ફર્મેશન કમિશનર - જીઆઈસી) દ્વારા ઉધડો લેવાયો હતો. ઇન્ફર્મેશન કમિશનર શ્રી કિરીટ એમ. અધ્વર્યુની અદાલતમાં જાહેર માહિતી અંગેની અપીલ સંદર્ભે સુનાવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી, એકેડેમિક અને ડેપ્યુટી રજિસ્ટ્રારે દસ્તાવેજો રજૂ કરીને સરકારી સંસ્થા હોવાના અંચળા હેઠળ એમજીએલઆઈ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
એમજીએલઆઈમાં ચલાવાતા એમએસડબલ્યૂ ઉપરાંતના ડિપ્લોમા ઇન લેબર લો પ્રેક્ટિસીસ (ડીએલએલપી) સહિતના ડિપ્લોમા અભ્યાસક્રમોને યુજીસી અને યુનિવર્સિટીના નિયમો લાગુ પડતા નહીં હોવાની એમજીએલઆઈની ભૂમિકાને ગુજરાત યુનિવર્સિટીના અધિકારીએ અમાન્ય કરી હતી. ૩ નવેમ્બર ૨૦૨૦ના ચુકાદામાં ગુજરાત માહિતી આયોગે પણ એમજીએલઆઈને યુનિવર્સિટીના નિયમો લાગુ પડતા નહીં હોવાની દલીલ નકારી હતી. એમજીએલઆઇના મહાનિયામક (ડાયરેક્ટર જનરલ) શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા છે.
એમજીએલઆઈ તરફથી જાહેર માહિતી અધિકારી અને આચાર્ય (વાસ્તવમાં સ્ટેનોગ્રાફર) શ્રી જે.એલ. પટેલે સંસ્થાન ઉપરના આઇએએસ અધિકારીઓના આદેશ મુજબ ચાલતું હોવાનું કહીને જીઆઈસીને વારંવાર પ્રભાવિત અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી, પરંતુ યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી શ્રી પી.એમ. જોશીએ કરેલી સ્પષ્ટતા પછી એમજીએલઆઇમાં ચાલતી ગેરરીતિઓ અને ભોપાળાં પ્રકાશમાં આવ્યાં હતાં. ચુકાદામાં નોંધાયું છે કે ‘સંસ્થાન (એમજીએલઆઈ) ગુજરાત સરકાર દ્વારા અપાતા અનુદાનથી ચાલે છે, તેમાં અધ્યાપકોનાં પગારધોરણો વિગેરે નાણા વિભાગ દ્વારા મંજૂર કરાય છે તેથી યુજીસીનાં પગારધોરણ તેમ જ અન્ય નિયમો લાગુ પડતા નથી, એવી રજૂઆત યોગ્ય નથી. સંસ્થાન શૈક્ષણિક કે અન્ય કામગીરી માટે જે જગ્યાઓ ઊભી થયેલ હોય તે રાજ્ય સરકારના નિયમો મુજબ કરી શકે છે, પરંતુ જયારે તેઓ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એમએસલ્યૂ કોર્સ ચલાવે છે ત્યારે જોડાણની શરતો મુજબ તથા યુજીસીની ગાઈડલાઈન મુજબ નિયમિત અધ્યાપકોની નિમણૂક ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિઓની હાજરીમાં કરવાની રહે છે તેમ તેઓએ (ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી અને નાયબ રજિસ્ટ્રારે) સ્પષ્ટતા કરી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી અલગથી કાર્યવાહી કરી રહેલ છે તેમ પણ તેઓએ સ્પષ્ટતા કરી.’
માહિતી અધિકાર અધિનિયમન-૨૦૦૫ હેઠળ ગુજરાત યુનિવર્સિટી પાસે માહિતી માંગવા સરદાર પટેલ સંશોધન સંસ્થા (‘સેરલિપ’)ના સંસ્થાપક નિયામક ડો. હરિ હેમરાજભાઈ દેસાઈએ કરેલી અરજી અને યુનિવર્સિટી સત્તાધિકારીને અપીલ કર્યા છતાં સ્પષ્ટ માહિતી આપવાનું ટાળવા બદલ યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી, એકેડેમિક, શ્રી પી.એમ. જોશીને જીઆઇસીએ પોતાના ૩ નવેમ્બર ૨૦૨૦ના ચુકાદામાં રૂ. ૫,૦૦૦નો વ્યક્તિગત દંડ કર્યો હતો. સુનાવણી દરમિયાન એમજીએલઆઈમાં ચલાવાતા અભ્યાસક્રમો, અભ્યાસક્રમોના જોડાણ અને અધ્યાપકોની નિમણૂકો અને માન્યતા બાબતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ નિયુક્ત કરેલી તપાસ સમિતિના અહેવાલમાં પણ એમજીએલઆઈમાં ચલાવાતા એમએસડબલ્યૂ અભ્યાસક્રમનું જોડાણ તાત્કાલિક અસરથી રદ કરવા સહિતની ભલામણો કર્યાની હકીકત પ્રકાશમાં આવી હતી. સરકારી સંસ્થા હોવાથી એમજીએલઆઇને યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦નું જોડાણ પાછલી અસરથી અપાયાનું પણ સ્પષ્ટ થયું હતું.
એમજીએલઆઈ વતી યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરતી એફિડેવિટો ડો. મીશા વ્યાસે કરી હોવાનું આયોગને બતાવાયેલી ફાઈલથી સ્પષ્ટ કરાયું હતું. જોકે યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારીએ કબૂલ્યું હતું કે એમજીએલઆઈને પાછલી મુદતથી અમલી થાય એ રીતે (રેટ્રોસ્પેકટિવ ઈફેક્ટથી) વર્ષ ૨૦૧૮-૧૯ (૨૪-૫-૨૦૨૦ના પત્રથી) અને ૨૦૧૯-૨૦ (૨૯-૬-૨૦૨૦ના પત્રથી)નું જોડાણ આપ્યુ છે, પરંતુ તેમણે આયોગને ખાતરી આપી હતી કે વર્ષ ૨૦૨૦-’૨૧નું જોડાણ અપાયું નથી અને અપાશે પણ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter