ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર - રાજકીય વિશ્લેષક અને લેખક ઉદય માહુરકરને માહિતી કમિશનરની નિયુક્તિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા ટુડેમાં ડેપ્યુટી એડિટર તરીકે ફરજ બજાવતા ઉદય માહુરકરના સન્માનમાં ગુજરાત મીડિયા ક્લબ અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ બી૧-બી૨નાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સમારોહમાં વિજય રૂપાણીએ શાલ ઓઢાડીને ઉદય માહુરકરનું સન્માન કર્યું હતું તેમજ ગુજરાત મીડિયા કલબ અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા પ્રશસ્તિપત્ર આપીને તેમને સન્માનિત કર્યા હતા.
ભારતનાં નવનિયુક્ત માહિતી કમિશનર ઉદય માહુરકરને શુભેચ્છા પાઠવતા વિજય રૂપાણીએ તેમને ગુજરાતનું ગૌરવ તરીકે સંબોધ્યા હતા. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે, ‘મોટાભાગે એવું જોવા મળે છે કે કોઈ નિવૃત્ત અધિકારીને જ માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પત્રકારને આ પદ પર નિયુક્ત કરીને એક નવી શરૂઆત કરી છે, જે એક સ્વસ્થ લોકતંત્ર તરફનું ઉલ્લેખનીય પગલું છે.’ આ પ્રસંગે ઉદય માહુરકરે પોતાના પત્રકારત્વ દરમિયાન થયેલા વિવિધ અનુભવોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઘણું શીખ્યો છું જેથી તેમનો હું ઋણી છું અને સ્વામી રામદેવજી પાસેથી સ્વસ્થ જીવનની કળા શીખ્યો જેથી તેમનો પણ આભારી છું.