ગાંધીનગરઃ ગુજરાતના રાજકારણમાં કોરોનાને લઇને તાપમાનનો પારો ઊંચે ગયો છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે એક ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત સરકાર અમદાવાદમાં ટેસ્ટની સંખ્યા ઉત્તરોતર ઘટાડી હકીકત છુપાવે છે. તેનો પ્રત્યુત્તર આપતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે તમારા સૂત્રોના તથ્યો ચકાસો કારણ કે તે સત્યથી જોજનો દૂર છે. અહેમદ પટેલે ટ્વિટ કરી હતી કે, અમદાવાદમાં ૧૭ મેના રોજ કુલ, ૧,૭૨૪ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જ્યારે પહેલી મેના રોજ આ આંકડો ૨,૫૨૨ હતો. રૂપાણીએ ટ્વિટર દ્વારા જવાબ આપ્યો ગુજરાતમાં ૧૬ મે સુધીમાં ૧,૯૪૩.૩ સેમ્પલ પ્રતિ દસ લાખ વ્યક્તિના દરે થયાં છે, જે દેશની કુલ સરેરાશ ૧,૪૭૮ કરતાં વધુ છે. અમદાવાદમાં ૫૨,૨૭૭ ટેસ્ટ કરાયા જે દસ લાખની વસ્તીએ ૬,૪૧૯.૫ ટેસ્ટની સરેરાશ છે.
અમદાવાદના નવા મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર
પાછલાં દિવસોમાં કન્ટેન્મેન્ટ ઝોન અમદાવાદમાં પોતાની કાર્યશૈલીને કારણે સરકાર સાથે સંઘર્ષમાં આવેલા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને ૨૦૦૧ બેચના સનદી અધિકારી વિજય નેહરાની ગુજરાત સરકારે બદલી કરી નાંખી છે. તેમને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો છે. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં શાસનકાળ દરમિયાન તેમના સચિવ તરીકે કામ કરી ચૂકેલા નેહરાને સરકારમાં પ્રમાણમાં ઓછી મહત્ત્વની કામગીરી સોંપાઇ હોવાનું ૧૭મી મેએ જાહેર થયું હતું. આમ નહેરાને સરકારે ‘કન્ટેઇનમેન્ટ ઝોન’ માં મૂક્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.