ગાંધીનગર: ઠાસરાના ધારાસભ્ય ગોવિંદ પરમારે અમૂલ ડેરી સંઘની ચૂંટણી મુદ્દે નારાજગી દર્શાવી ધારાસભ્ય પદ પરથી અને પક્ષમાંથી રાજીનામું આપવાની ચીમકી ૧૮મી ઓક્ટોબરે આપી હતી. એ પછી ૨૪ કલાકમાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને મનાવી લેતાં ઘીનાં ઠામમાં ઘી પડ્યું હતું. ગોવિંદ પરમારે અધ્યક્ષને મળવાનો સમય માગ્યો હતો અને અધ્યક્ષ આ સમય આપે તે પહેલાં જ રૂપાણીએ પરમારનો સમય સોમવારે લઈ લીધો અને તેમને તાત્કાલિક ગાંધીનગર મળવા બોલાવ્યા હતા. આ મુલાકાત પછી પરમાર ચૂપ થઇ ગયા અને રાજીનામું નહીં આપવાની જાહેરાત કરી દીધી હતી.
ગોવિંદ પરમારે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, હું નારાજ નથી અને રાજીનામું આપવાનો પ્રશ્ન જ નથી આવતો. મુખ્ય પ્રધાન સાથે મુલાકાત બાદ મેં બધી રજૂઆત કરી છે અને તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી છે. સિનિયર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતાં જણાવ્યું કે, ગોવિંદ પરમારને કોઇ નારાજગી નથી અને પાર્ટી છોડી જવાના નથી.
ગોવિંદ પરમારે આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલ સામે સીધા આક્ષેપો કર્યાં હતાં. ગોવિંદ પરમારે કહ્યું હતું કે, આ સાંસદે અમૂલ ડેરીની ચૂંટણીમાં મને હરાવ્યો છે. સાંસદ એવું સમજે છે કે હું નરેન્દ્ર મોદી જેવો થઇ ગયો છું, પણ એને ખબર નથી. જે ઉપર લઇ જાય છે તે ઢસેડીને પાતાળે પણ પાડે છે. અમે તેવી તાકાત ધરાવીએ છીએ. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અમૂલ ડેરીમાં સરકારી પ્રતિનિધિ તરીકે ત્રણ સભ્યોની નિમણૂકથી ભડક્યા હતા. વિધાનસભાની પેટાચૂંટણી ટાણે જ ગોવિંદ પરમારે સરકાર અને સંગઠન બંને પર પ્રેશર ટેકનિક અપનાવવા રાજીનામાની વાત કરી ત્યારે દંડક પંકજ દેસાઇએ તુરંત જ મુખ્ય પ્રધાન સાથે આ ધારાસભ્યની બેઠક કરાવીને કોકડું ઉકેલ્યું હતું છતાં ગોવિંદ પરમારમાં દૂધના સફેદ રાજકારણ મામલે રોષ દેખાયો હતો.
ભાજપના ધારાસભ્યોમાં પણ આ પ્રકરણ ઉઠ્યા બાદ નારાજગી ઉપલા સ્તરે દેખાઈ હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરજણમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડતા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અક્ષય પટેલ રૂ. ૨૫ કરોડમાં વેચાયાની વાત કરીને ભડકો કર્યો તો એક સિનિયર ધારાસભ્યએ કહ્યું કે, પાર્ટીમાં હવે પોતાના જૂના ધારાસભ્યોની કોઇ પરવા નથી. તેઓનું જે થવું હોય તે થાય તેવી વૃત્તિ સાથે પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાંથી આવેલાને પૂજે છે, તેમને પ્રધાન બનાવે છે.