અમદાવાદાઃ અમદાવાદ-લંડનની ફ્લાઈટના પ્લેનક્રેશનો મૃત્યુઆંક હાલ 279 છે, પરંતુ બચાવ કામગીરીમાં સંકળાયેલાઓના અનુમાન અનુસાર પ્રવાસીઓ સહિત કુલ મરણાંક 300 સુધી પહોંચી શકે છે. પ્લેનક્રેશ બાદ મોટી સંખ્યામાં રાહદારી, વાહનચાલકોએ પણ જીવ ગુમાવ્યો હોવાનું અનુમાન એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યું છે. સિવિલ ડિફેન્સના એક અધિકારીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, ‘સ્થિતિ જેવી હાલ દેખાય છે તેનાથી વધુ ભયાવહ છે. 241 મુસાફરો સિવાય અન્ય 40 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હોવાનું અમારું અનુમાન છે. આ પૈકીના કેટલાક પ્લેન ક્રેશના સ્થળે હતા તો કેટલાક ત્યાંથી વાહન ચલાવીને પસાર થઇ રહ્યા હતા અને જીવ ગુમાવ્યો હોવાની શક્યતા છે. વળી ઇજાગ્રસ્તોનો આંક પણ વધારે છે. મોટાભાગના લોકોને ચહેરા, પગ અને હાથમાં ગંભીર ઈજા થયેલી છે. દુર્ઘટના વખતે જે દ્રશ્ય જોયું છે તેને ક્યારેય ભૂલી શકાશે નહીં.’