ગાંધીનગર: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે થલતેજમાં જૈન સમાજ દ્વારા યોજાયેલા તેમના અભિવાદન અને રજત તુલા કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થવાની છે. દેશને અયોધ્યમાં રામમંદિરની ભેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. આથી તેમના જન્મદિને રાજ્યનાં ૭૧૦૦ ગામમાં રામ મંદિરમાં આરતીનો કાર્યક્રમ રખાશે. આ સાથે હૃદયની તકલીફ ધરાવતા ૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી પણ ભાજપ દ્વારા કરાવશે. આ સિવાય ૫૧ હજાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં વિવિધ ગામ, શહેરોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પણ હાથ ધરાશે. આ સાથે સી.આર. પાટીલે ફરી એક વાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ ૧૮૨ બેઠક મેળવશે તેવો પુનરોચ્ચાર કર્યો હતો.
વડા પ્રધાન પદ સુધીના ૨૦ વર્ષના કાર્યકાળની પણ ઉજવણી
પાટીલે કહ્યું કે, ૬ ઓક્ટોબરે વડા પ્રધાન મોદીના મુખ્ય પ્રધાન કાર્યકાળથી વડા પ્રધાન તરીકેનાં ૨૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. આ ૨૦ વર્ષની ઉજવણી પણ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો મારફતે કરાશે. ગુજરાતમાં પણ આ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે.