મહેસાણાઃ રૂપાણી સરકારના સફળતાના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના અલગ અલગ લાભાર્થીઓ સાથે વીડિઓ કોલિંગ દ્વારા વાર્તાલાપ કર્યો હતો. જેમાં આજે મોદીએ પોતાના માદરે વતન વડનગરના એક લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં વડા પ્રધાને લાભાર્થી સાથે વડનગરના રેલવે સ્ટેશન વિશે વાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરના લાભાર્થી નરસિંહભાઇ જોડે વીડિયો કોલથી વાત કરી હતી. જેમાં વડા પ્રધાને નરસિંહભાઇ સાથે વડનગરના નવ નિર્મીત રેલવે સ્ટેશન વિશે વાત કરી હતી અને પૂછ્યછયું હતું કે, વડનગરમાં નવું રેલવે સ્ટેશન બન્યું છે, જોયું છે કે નહીં, કેવું બન્યું છે? રેલવે સ્ટેશનને જોઇને ગ્રામજનો ખુશ છે કે નહી? ત્યારે લાભાર્થી નરસિંહભાઇ પણ ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થી નરસિંહભાઈ જોડે સરકાર દ્વારા મળતી યોજનાના લાભ મળે છે કે નહીં, પરિવારના બાળકોના અભ્યાસ, યોજના અને વિનામૂલ્યે અનાજ મળવાથી પૈસાની બચત થાય છે કે નહીં? જેવી અનેક બાબતો પર લાભાર્થી નરસિંહભાઈ જોડે વાર્તાલાપ કર્યો હતો.
ચા વેચતા હતા ત્યાં ૧૭ વર્ષ બાદ ટ્રેન દોડી
ઉલ્લેખનીય છે કે, જે રેલવે સ્ટેશન પર વડાપ્રધાન બાળપણમાં ચા વેચતા હતા એ સ્ટેશન પર ૧૭ વર્ષ બાદ ટ્રેન દોડતી થઇ છે. પુનઃરેલ વ્યવહાર શરૂ થતાં વડનગરવાસીઓ ખુશખુશાલ છે. અમદાવાદ અને વડનગર વચ્ચે રેલવે વ્યવહાર ચાલુ હતો એ સમયે ૧૦ડબ્બા પણ ઓછા પડતા હતા. જ્યારે વડનગરથી મુંબઇ ટ્રેનમાં માલસામાન મોકલાતો હતો.
રેલવે સ્ટેશનને હેરિટેજ લુક અપાયો
વડનગરમાં આવેલા આ સ્ટેશન સાથે PM મોદીની અગણિત યાદો પણ જોડાયેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતા સાથે જ્યાં ચા વેચતા હતા એ દુકાન પણ હાલમાં મોજુદ છે. સમગ્ર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે, જેમાં વડનગર, મોઢેરા, પાટણ હેરિટેજ સર્કિટની રીતે બનાવાયું છે. વડનગર સ્ટેશન પર બ્રોડગેજલાઇનમાં પણ પરિવર્તિત આગામી સમયમાં કરવામાં આવે શકે છે.