મોદીનો પાયો અહીંથી જ હચમચશેઃ ભરતસિંહ

Wednesday 11th March 2015 08:11 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમનો હોદ્દો સંભાળી લીધો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી દિલ્હી ગયેલાં લોકોનો પાયો અહીંથી જ હચમચશે. તેમણે આ વર્ષમાં આવી રહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે સક્રિય બનવાનું આહ્‌વાન કાર્યકરો-આગેવાનોને કર્યું હતું. નવી પરિસ્થિતિમાં ગુજરાતના લોકોનો અવાજ બુલંદ બનાવીને ગાંધીનગરમાં પ્રજાલક્ષી તિરંગો લહેરાવવાની નેમ તેમણે વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં માત્ર એક જ જૂથ-સોનિયા ગાંધી જૂથ છે એમ જણાવી તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અહમદ પટેલે સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની ખાતરી ઉચ્ચારી રાષ્ટ્રીય નેતૃત્ત્વ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં ૭ માર્ચના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કાર્યકરો-આગેવાનોની હાજરીમાં પ્રમુખપદનો પદભાર સંભાળવાના કાર્યક્રમમાં સંબોધતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં ૧૭-૧૮ વર્ષથી કોંગ્રેસ સત્તા પર આવે તેવી અપેક્ષા સહુ કોઈ સેવી રહ્યા છે પરંતુ કોઈ એક વ્યક્તિ કામ કરી શકે નહીં, સહુએ પ્રયાસો કરવા પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય, શિક્ષણ, ખેડૂતલક્ષી, રોજગારી સહિતના અનેક પ્રશ્નો છે. ત્યારે ખભેખભા મીલાવીને કોંગ્રેસ માટે કામ કરવાનું છે. ભાજપ સરકાર ટેક્ષની ૧.૧૦ લાખ કરોડની આવકમાંથી ૩૦ ટકા વચેટિયાઓને વહેંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter