ગાંધીનગર: ગુજરાતમાં ૨૫મી નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર વચ્ચે બે તબક્કામાં ૧૭૨૦ વ્યક્તિઓ યુરોપથી આવી છે. એ પૈકી ૧૧ કોરોના પોઝિટિવ જણાઈ. આ વ્યક્તિઓમાં યુકેમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો છે કે કેમ? તે જાણવા તેમના સેમ્પલનું પૃથક્કરણ પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી તથા ગાંધીનગરના ગુજરાત બાયોલોજિકલ રિસર્ચ સેન્ટરમાં થઈ રહ્યું હોવાના અહેવાલ ૨૭મી ડિસેમ્બરે હતા. આ તપાસમાં ૮થી ૧૦ દિવસનો સમય જતો હોય છે એટલે એક સપ્તાહમાં ફાઈનલ રિપોર્ટ આવશે અને એ પછી રાજ્ય સરકાર વધુ પગલાં લેશે તેમ ૨૭મી ડિસેમ્બરે જણાવાયું હતું.
બ્રિટનથી અમદાવાદ આવેલા ૩૫૦ મુસાફરો શોધાયા
બ્રિટનમાં કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાયો છે. આથી બ્રિટનથી આવલા મુસાફરોનું સઘન સર્વેલન્સ અમદાવાદ પાલિકાએ ગોઠવ્યું છે. અમદાવાદ મ્યુનિ.એ સઘન સર્વેલન્સ કરીને છેલ્લા એક મહિનામાં બ્રિટનથી અમદાવાદ આવેલા ૩૫૦થી વધુ મુસાફરોને શોધી કાઢયાં હતા અને તેઓની ચકાસણી કરી હોવાના અહેવાલ ૨૬મીએ હતા.
શોધાયેલા તમામને કડક હોમ આઇસોલેશનમાં રહેવાની સૂચના અપાઇ હતી. આ સિવાય તમામ મુસાફરોના આરોગ્યની ચકાસણી થઈ હતી જે પૈકી એક પણ કોરોના પોઝિટિવ કેસ નહોતો. જોકે, ૩૫ મુસાફરોનો આઇસોલેશનનો પિરિયડ ચાલતો હોવાથી તેના કડક અમલ માટે ખાસ વોચ ગોઠવાઇ હતી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને તકેદારીના ભાગરૂપે લગભગ નવેમ્બર મહિનાથી જેટલા મુસાફરો બ્રિટનથી આવ્યા હતા તે તમામના નામ એરલાઇન્સ પાસેથી મેળવ્યા હતા. આ તમામ મુસાફરોની રોકાણની જગ્યાએ જઈને સર્વે કરાયો હતો જ્યાં તેમને કોઇપણ પ્રકારના બીમારીનાં લક્ષણો છે કે નહીં તેની ચકાસણી કરાઈ હતી જે પૈકી કોઇ મુસાફરોનો હોમ આઇસોલેશનનો સમય પૂર્ણ થયો નથી તેવા મુસાફરોને સઘન હોમ આઇસોલેશનમાં રહેવાની સૂચના અપાઇ હતી. આ સાથે સ્થાનિક તંત્રના કર્મચારીઓને તેમની ઉપર વોચ રાખીને હોમ આઇસોલેશનનો ચુસ્ત પાલન કરાવવાની સૂચના અપાઇ હતી.
લંડનથી આવેલા ૨૭૫ મુસાફરોના ટેસ્ટ
બ્રિટનમાં કોરોનાનો વાઇરસ સ્ટ્રેન બદલી રહ્યો છે અને વધુ ખતરનાક બની રહ્યો છે આથી, અમદાવાદ મહાપાલિકા દ્વારા પશ્ચિમના દેશોમાંથી આવતી દરેક ફ્લાઇટના મુસાફરોના RTPCR ટેસ્ટ કરવા માટે ટીમો અગાઉથી તૈનાત કરી દીધી હોવાના અહેવાલ ૨૩મી ડિસેમ્બરે હતા. ૨૩મીએ સવારે ૧૦ વાગ્યાની આસપાસ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI ૧૧૭૧નું ઉતરાણ અમદાવાદ એરપોર્ટ પર થયું હતું. આ પ્લેનમાં ૨૭૫ મુસાફરો આવ્યા હતા. AMCની ટીમે આ ૨૭૫ મુસાફરોનાં RTPCR ટેસ્ટ કર્યા હતા જે પૈકી આણંદના દંપતી સહિત ચાર મુસાફરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ચારેય મુસાફરોને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદના એરપોર્ટ ઉપર ખાનગી લેબોરેટરીના સ્ટાફ સાથે મ્યુનિ.ની ટીમ તૈનાત કરાઈ હતી. ૨૭૫ પ્રવાસીનાં RTPCR ટેસ્ટ થયા જેના પરિણામો ચાર કલાક પછી આવવાના શરૂ થયા હતા જેમાં ૨૭૧ મુસાફરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા તે તમામને પણ ૧૪ દિવસ માટે હોમ આઇસોલેશનમાં રહેવાની સૂચના અપાઈ હતી.
૨૭મી ડિસેમ્બરના અહેવાલો પ્રમાણે બ્રિટનથી આવેલા ૧૧ મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમાં અમદાવાદના ૪, વડોદરા-આણંદ અને ભરૂચના બબ્બે તથા વલસાડના એક એક સામેલ હતા. આ દર્દીઓ સારવાર હેઠળ હોવાના અહેવાલ હતા. બ્રિટનથી આવેલા જે લોકો RTPCR ટેસ્ટમાં પોઝિટિવ નથી આવ્યા તેમને પણ નિયમ પ્રમાણે ફરજિયાત સેલ્ફ આઇસોલેશનમાં હોમ ક્વોરેન્ટાઈન રહેવાની સૂચના અપાઈ છે.