વિશ્વભરમાં ફરવા અને મોજશોખ કરવા માટે જાણીતા ગુજરાતીઓ લોકો નાણાની યોગ્ય કિંમત પણ સમજે છે. તેમની નજર વૈશ્વિક ઘટનાક્રમ પર સતત રહે છે. આવી સ્થિતમાં હવે યુરોની કિંમતમાં ઘટાડો થતાં ગુજરાતી પ્રવાસીઓની નજર યુરોપના દેશો પર કેન્દ્રિત થઈ છે. એક રીપોર્ટ અનુસાર યુરોની કિંમત ઘટી જતાં ગ્રીસ, સ્પેન, અને પોર્ટુગલ જેવા દેશો પર નજર કેન્દ્રિત થઈ છે. આ દેશોમાં ગુજરાતી પ્રવાસીઓ સસ્તી હોટેલો અને પરિવહનની ચકાસણી અને શોધી કરી રહ્યા છે. અત્યારે યુરોપના કેટલાક દેશોમાં અર્થતંત્ર ચિંતાજનક સ્થિતિમાં છે. સ્પેન, ગ્રીસ, પોર્ટુગલ જેવા દેશોમાં હોટેલ માલિકો જંગી ડિસ્કાઉન્ટ આપે છે, તો ટ્રાવેલ કંપનીઓ પણ પેકેજની ઓફર કરે છે. ટ્રાવેલ્સ કંપનીઓ માને છે કે છેલ્લા બે વર્ષમાં લોકો અમેરિકા અને લંડન જવાના બદલે યુરોપના દેશોમાં જવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી વધારે લોકો યુરોપિયન દેશોના પ્રવાસ અંગેની માહિતી મેળવી રહ્યાં છે.
ભાગ્યેશ જ્હાની ગુજરાત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષપદે નિમણૂકઃ નિવૃત્ત આઇએએસ અધિકારી અને સાહિત્યકાર ભાગ્યેશ જ્હાની ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ છે. રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જારી કરાયા છે. તેઓ બે વર્ષ સુધી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહેશે.
ન.પા.ની પેટાચૂંટણીમાં ૧૧ બેઠકો પર ભાજપ બિનહરીફઃ ૧૭ એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકાઓની બે અને નગપાલિકાઓની ૩૭ એમ કુલ ૩૯ બેઠકોની પેટાચૂંટણીના ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ભાજપની ૩૭ પૈકી ૧૧ બેઠકો પર બિનહરીફ જીત થઇ છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા આઈ. કે. જાડેજાએ જણાવ્યું છે કે આ ૧૧ બેઠકોમાંથી એક પણ બેઠક ભાજપની ન હતી. ૧૦ બેઠક કોંગ્રેસની હતી જ્યારે ૧ બેઠક સમતા પાર્ટીની હતી.