સુરતઃ નાનુપુરા દિગંબર જૈન દેરાસરમાં વડોદરાની શિષ્યા ઉપર બળાત્કાર ગુજારવાના આરોપસર પકડાયેલા આચાર્ય શાંતિસાગર મહારાજને જેલભેગા કરી દેવાયા છે. ૧૫મી ઓક્ટોબરે રાતે તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા હતાં. પોલીસે રિમાન્ડની માગ કરી ન હોવાથી કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ મોકલાયા હતા. આ અગાઉ આચાર્ય શાંતિસાગરે સિવિલના તબીબ અને પોલીસ સામે જાતબચાવ કરતાં કહ્યું હતું કે, ‘જો કુછ હુઆ વો મરજી સે હુઆ...’ જોકે પોલીસે હજી આ કેસમાં મહત્ત્વના મુદ્દા તપાસી રહી છે. ઉલ્લેખનીય છે કે આચાર્ય શાંતિસાગરે જે જૈન મંદિરમાં બળાત્કાર ગુજાર્યો હતો તે મંદિરના ટ્રસ્ટીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે શાંતિસાગરે ફરિયાદીના પિતાને પીંછી પરિવર્તનની બોલીના રૂ. ૩ કરોડમાંથી ૪૦ ટકા કમિશન ન આપ્યું એટલે તેમણે દીકરી પાસે પોલીસમાં બળાત્કારની ખોટી ફરિયાદ કરાવી છે.
સંઘ તરફથી રાજેશ જૈન નામના અગ્રણીએ રવિવારે ખુલાસો કર્યો હતો કે, પીડિતાએ પૈસા માગ્યા નહીં હોય અને તેની પર મુનિએ તેની સાથે બળજબરી કરી હશે અને મુનિ દોષિત હોય તો તેમને સંઘ બહાર કાઢવામાં આવશે, પણ જો છોકરી દોષિત હશે તો છોકરી સામે પગલાં લેવાની જાહેરાત અગ્રણીએ સંઘ વતી કરી હતી.