અમદાવાદઃ કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ સફેદ-વાદળી કવરમાં લપેટાઈને આવતા મૃતકોના અગ્નિદાહમાં થતા ૪૮-૭૨ કલાકના વિલંબને કારણે સ્થાનિક વહિવટી તંત્રને સુરત અને રાજકોટમાં ૯ નવા સ્મશાન ખોલ્યા છે. ૭ મહાનગરોમાં જ રવિવારે કોરોના પ્રોટોકોલ સાથે ૩૮૮થી વધુ મૃતદેહોની અંતિમવિધી થઈ હતી. સરકારે મંગળવારે કોરોનાથી રાજ્યમાં ૬૭ દર્દીઓના મોત થયાનું જાહેર કર્યુ છે. સાંપ્રત સમયે સેકન્ડ વેવની ભયાનક સ્થિતિ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મહાનગરોથી લઈને મોરબી, મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા નાના શહેરોના નાગરીકો નજર સામે જોઈ રહ્યા હોવા છતાંય ગુજરાત સરકાર રોજેરોજ મૃત્યુની સ્થિતિ છુપાવી રહી છે. સુરતમાં સોમવારથી વધુ ત્રણ સ્મશાન કાર્યરત કરાયા છે. જેમાં લિંબાયત, પાલ અને મોટા વરાછા ગામના સ્મશાનનો સમાવેશ થાય છે. ઉમરામાં સ્મશાનની ભઠ્ઠીઓ વધારવાનું કામ શરૂ થયુ છે. જ્યારે રાજકોટમાં છ નવા સ્મશાનોને મંજૂરી આપવી પડી છે. પોપટપરા, રૂખડિયાપરા, નવા થોરાળા, મુંજકા, કોઠારિયાના સ્મશાનોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલથી મૃતદેહોને અગ્નિદાહ આપશે. માત્ર રવિવારે જ ૭ મહાનગરોમાં કોવિડ- ૧૯ના પ્રોટોકોલ સાથે ૩૮૦થી વધુને અગ્નિદાહ અપાયા હતા.