રાજકોટઃ સોમવારે ભાજપના કાર્યાલયનું ઈ-ભૂમિપૂજન હતું. સમારોહમાં ભૂમિપૂજન સ્થળે મુકાયેલા કામચલાઉ પગથિયા આઠથી દસ નેતાઓના ભારથી હચમચી ઉઠતા મેયર, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો માંડ પડતા બચ્યા હતા. મુખ્ય પ્રધાને કોરોનાના સમયમાં સામાજિક અંતર જાળવી ગાંધીનગરથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું, પરંતુ સ્થાનિક નેતાઓએ આ પ્રસંગને પણ એક સમારોહ બનાવી દીધો હતો. એક ઓરડીમાંથી હવે આધુનિક કાર્યાલય તરફ ભાજપ પ્રગતિ કરે છે ત્યારે તેના જાહેર કાર્યક્રમોમાં સામાજિક દાયિત્વને દર્શાવી સામાજિક અંતરનો સંદેશ આપી શકાયો હોત! રાજકોટમાં આજે ઈ-ભૂમિપૂજન પ્રસંગે ખુરશીઓ મૂકી કાર્યક્રમ જેવા જ દૃશ્યો સર્જાયા હતા.
રાજનીતિમાં હંમેશાં રાજકોટ એપીસેન્ટર
ગુજરાતની રાજનીતિમાં દબદબામાં હંમેશા રાજકોટ એપીસેન્ટર રહયું છે. મુખ્ય પ્રધાન પણ રાજકોટના છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક વિસ્તારમાં ૨,૨૮૮ વાર જગ્યામાં ઈ-ભૂમિપૂજન પ્રસંગે મુખ્ય પ્રધાન વર્ચ્યુઅલ સંબોધનમાં ખુશી વ્યક્ત કરતા બોલ્યા કે એક સમયે ઓરડીમાં શરૂ થયેલું કાર્યાલય હવે સુવિધાસભર બનશે તે આનંદનો પ્રસંગ છે. ઈર્ન્ફેમશન ટેકનોલોજી, સોલાર પેનલ અને ત્રણ માળની સ્પેસ સાથે આ કાર્યાલય દોઢ વર્ષમાં બની જશે તેવું જણાવાયું છે. ઈ-ભૂમિપૂજન પ્રસંગે ભાજપના નવયનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલે પણ શુભકામના પાઠવી હતી.