અમદાવાદઃ ૨૦૦૨ના ગોધરાકાંડના રમખાણોમાં બિલ્કીસ બાનો પર થયેલા ગેંગરેપ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને રૂ. ૫૦ લાખનું વળતર ચૂકવવા, સરકારી નોકરી અને ઘર આપવા આદેશ કર્યો છે.
ગેંગરેપ અને હત્યાકાંડ મામલે ૧૧ને આજીવન કેદ
આ ગેંગરેપ અને હત્યાકાંડ મામલે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મિતેશ ભટ્ટને સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આ કેસ બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યાં બોમ્બે હાઇકોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.
બિલ્કિસબાનો કેસ
ગુજરાતમાં ગોધરાકાંડના રમખાણો દરમિયાન ૨૦૦૨ની ૩જી માર્ચે અમદાવાદથી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા રણધીકપુર ગામમાં બિલ્કિસના પરિવાર પર ટોળાએ હુમલો કર્યો હતો. તે વખતે ૧૯ વર્ષની બિલ્કિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. હિંસક ટોળાએ બિલ્કિસના પરિવારના ૧૪ લોકોની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.


