અમદાવાદઃ ગુજરાતના ડાયમંડના વેપારીઓ ઉપરાંત ટીમ્બરના વેપારીઓ માટે પણ રશિયા સાથે વેપાર વહેવાર કરવાની સારામાં સારી તક હોવાનું રશિયાના ત્રણ દિવસના પ્રવાસેથી ગુજરાત પરત ફરેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આગામી સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જવાના છે. તે પૂર્વે ભારતીય ડેલિગેશનની આ મુલાકાત બંને દેશો વચ્ચેના વેપાર વહેવારમાં વધારો કરવા માટેના એક પાયો ઊભો કરનાર સાબિત થશે.
તેમણે કહ્યું હતું કે આ પ્રવાસ સાથે જ બંને દેશો વચ્ચે હીરાના અને ટીમ્બરના વેપાર નવી ઊંચાઈને આંબશે તેવો અમને વિશ્વાસ છે. આ મુલાકાત દરમિયાન તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. રશિયાનો વ્લાદિવોસ્તોક વિસ્તાર પ્રાકૃતિક સંપદાથી છલકાતો વિસ્તાર છે. આ વિસ્તારમાં કુદરતી રીતે ડાયમંડ, ગોલ્ડ, ઓઈલ, ગેસ મળી રહ્યા છે. તેથી આ તમામ સેક્ટરમાં તેમની સાથે વેપાર વહેવાર વધારવાની તક રહેલી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના કંડલા બંદરેથી હીરાની મોટા પાયે નિકાસ થઈ રહી છે. તેની સામે રશિયામાંથી લાકડાની આયાત કરવામાં આવી રહી છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં જે રીતે વેપાર, ઉદ્યોગનો વિકાસ કરવામાં આવ્યો છે તે જ રીતે રશિયા સાથે પણ વેપાર વધારવાની સારામાં સારી તક હોવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.
રશિયાની પ્રજા પણ ઇચ્છે છે કે ગુજરાતી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ રશિયા આવીને તેમના દેશમાં વેપાર કરે. તેમ થવાથી પારસ્પરિક સંબંધો વધુ મજબૂત બનશે. કેન્દ્રિય ઉદ્યોગ-વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં મુખ્ય પ્રધાન સાથે રશિયાને પ્રવાસે ગયેલા ડેલિગેશનમાં ચાર રાજ્યના મુખ્ય પ્રધાનો પણ જોડાયા હતા.