નવસારી: ગુજરાતના ૧.૮૨ લાખ જેટલા ખેડૂતોએ આવકવેરો ભરતા હોવા છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ગેરલાભ લઇને ૧૮૬ કરોડ રૂપિયાની સહાય મેળવી લીધાની હકીકત બહાર આવતાં તપાસના ચક્રો ગતિમાન થયા છે. આ તપાસમાં જે ખેડૂતો દોષિત ઠરશે તેમની પાસેથી સહાયના નાણાં પરત વસૂલ કરાશે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક યોજના નામે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. ૬ હજાર ત્રણ સમાન હપતામાં સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. યોજના દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લાગુ પડી હતી અને નક્કી થયા બાદ થોડા જ સમયમાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં ૨ હજાર રૂપિયાની માસિક સહાય ચૂકવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
જોકે આ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં કેટલીક શરતો પણ લાગુ કરાઈ હતી. જેમ કે, છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવેલો હોય તેવા કરદાતા આ સહાય મેળવવાપાત્ર ન હતા. આમ છતાં આવકવેરો ભરેલો હોય તેવા પણ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી સહાય લઈ રહ્યા છે, જેનો એક-બે મહિના અગાઉ ‘ભાંડો’ ફૂટ્યો હતો. મળતી માહિતી મુજબ રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં અંદાજે ૧.૮૨ લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં પીએમ કિસાન સમ્માન નિધિની સહાય લઈ રહ્યા હતા. આ ખેડૂતોને રાજ્યમાં કુલ ૧૮૬ કરોડ જેટલી મોટી રકમ સરકારી તિજોરીમાંથી મળી છે.
કિસાન સમ્માન નિધિનું પોર્ટલ તથા આવકવેરા કરદાતાનું પોર્ટલ (ટેક્સ ભરનારાની યાદી) જોતાં આ ભાંડો ફૂટ્યો હતો. અહેવાલ અનુસાર, ભાવનગરમાં ૧૮ હજારથી વધુ, અમરેલીમાં ૧૭ હજારથી વધુ, મહેસાણામાં ૧૪ હજારથી વધુ, રાજકોટમાં ૧૩ હજારથી વધુ ખેડૂતોએ આ યોજનાનો અયોગ્ય લાભ
લીધો છે.
આવી સહાય લીધેલા ‘ગેરપાત્રતા ધરાવતા ખેડૂતો’ને સરકારે એસએમએસ કરી દીધા છે તથા ચૂકવેલી રકમ ‘રિફંડ’ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.