રાજ્યના ૧.૮૨ લાખ ખેડૂતોએ વેરો ભરતા હોવા છતાં સરકારી સહાયનો પાક લણ્યો!

Saturday 05th December 2020 05:10 EST
 
 

નવસારી: ગુજરાતના ૧.૮૨ લાખ જેટલા ખેડૂતોએ આવકવેરો ભરતા હોવા છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ગેરલાભ લઇને ૧૮૬ કરોડ રૂપિયાની સહાય મેળવી લીધાની હકીકત બહાર આવતાં તપાસના ચક્રો ગતિમાન થયા છે. આ તપાસમાં જે ખેડૂતો દોષિત ઠરશે તેમની પાસેથી સહાયના નાણાં પરત વસૂલ કરાશે.
ફેબ્રુઆરી ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક યોજના નામે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. ૬ હજાર ત્રણ સમાન હપતામાં સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. યોજના દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લાગુ પડી હતી અને નક્કી થયા બાદ થોડા જ સમયમાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં ૨ હજાર રૂપિયાની માસિક સહાય ચૂકવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
જોકે આ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં કેટલીક શરતો પણ લાગુ કરાઈ હતી. જેમ કે, છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવેલો હોય તેવા કરદાતા આ સહાય મેળવવાપાત્ર ન હતા. આમ છતાં આવકવેરો ભરેલો હોય તેવા પણ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી સહાય લઈ રહ્યા છે, જેનો એક-બે મહિના અગાઉ ‘ભાંડો’ ફૂટ્યો હતો. મળતી માહિતી મુજબ રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં અંદાજે ૧.૮૨ લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં પીએમ કિસાન સમ્માન નિધિની સહાય લઈ રહ્યા હતા. આ ખેડૂતોને રાજ્યમાં કુલ ૧૮૬ કરોડ જેટલી મોટી રકમ સરકારી તિજોરીમાંથી મળી છે.
કિસાન સમ્માન નિધિનું પોર્ટલ તથા આવકવેરા કરદાતાનું પોર્ટલ (ટેક્સ ભરનારાની યાદી) જોતાં આ ભાંડો ફૂટ્યો હતો. અહેવાલ અનુસાર, ભાવનગરમાં ૧૮ હજારથી વધુ, અમરેલીમાં ૧૭ હજારથી વધુ, મહેસાણામાં ૧૪ હજારથી વધુ, રાજકોટમાં ૧૩ હજારથી વધુ ખેડૂતોએ આ યોજનાનો અયોગ્ય લાભ
લીધો છે.
આવી સહાય લીધેલા ‘ગેરપાત્રતા ધરાવતા ખેડૂતો’ને સરકારે એસએમએસ કરી દીધા છે તથા ચૂકવેલી રકમ ‘રિફંડ’ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter