અમદાવાદઃ ભારતની વર્ષો જૂની તબીબી ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ તરફ છેલ્લાં ઘણા વર્ષોથી લોકોનો લગાવ વધી રહ્યો છે. આડઅસર રહિત પદ્ધતિ હોવાના કારણે દર્દીઓ વહેલા કે મોડા આ પદ્ધતિ અપનાવે છે. આ વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીને સરકારે રાજ્યના ૧૨ જિલ્લામાં નવી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે બજેટમાં દસ કરોડની ફાળવણી પણ કરી દેવાઈ છે. સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ મોડલ આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના દ્વારા સરકાર આ ડ્રીમ પ્રોજેક્ટમાં આગળ વધી રહી છે. રાજ્યમાં વર્તમાન સમયે ૩૬ સરકારી આયુર્વેદિક હોસ્પિટલો છે.
જેમાં ૨.૭૦ લાખ દર્દીઓ દર્દના શમન માટે આવે છે. જોકે રાજ્યના ૧૨ જિલ્લા એવા છે કે જ્યાં એક પણ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નથી. દરેક જિલ્લામાં એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ સ્થાપવાનું સરકારનું લક્ષ્ય છે. જે ૧૨ જિલ્લામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ સ્થપાવાની છે તેમાં તાપી, સુરત, મહેસાણા, પાલનપુર, લુણાવાડા, મોડાસા, ગીર, સોમનાથ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. દરેક હોસ્પિટલમાં ૫૦ પથારીની સુવિધા રહેશે.

