અમદાવાદઃ ઉનાળામાં રાજ્યના મોટાભાગના ડેમનાં તળિયા દેખાવા લાગ્યા છે. જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતના ૨૦૩ ડેમોમાં અત્યારે માંડ ૨૩.૧૫ ટકા જ પાણી બચ્યું છે. ગત વર્ષે આ જ સમયમાં ડેમોમાં ૩૦.૯૫ ટકા જળસ્તર હતું. ગુજરાતના ૨૦૩ પૈકી ૧૭૪ ડેમો એવા છે જેમાં ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. ડેમોની ખાલીખમ સ્થિતિ જોતાં ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં જ પાણીની વધુ વિકટ સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
જેકે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નર્મદાના પાણીનું વિતરણ દૈનિક ૫૦ કરોડ લીટર વધારવામાં આવ્યું હોવાની જાહેરાત ૨૯મીએ કરાઈ હતી. નર્મદા કેનાલથી ગત વર્ષે દૈનિક ૩૨૫ કરોડ લીટર પીવાનું પાણી અપાતું હતું જ્યારે આ વર્ષે ૩૭૫ કરોડ લીટર પાણીનું વિતરણ કરાય છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે પોરબંદરના ફોદારા ડેમમાં વધારાનું ૨ કરોડ લીટર પાણી, કચ્છના ભુજ બન્ની, લખપત, અબડાસામાં વધુ ૩ કરોડ લીટર પાણી, ગઢડામાં પાંચ કરોડ લીટર પાણી, અમેરલીમાં ૧ કરોડ લીટર પાણી અપાયું છે. જુલાઈ સુધી પૂરતા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.


