ગુજરાતમાં કેટલાંક શહેરોમાં ૨૮ ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ અને કેટલાક સ્થળે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડયો હતો. જેના કારણે એક દિવસમાં ત્રણ જુદી જુદી ઋતુનો લોકોને અનુભવ થયો હતો. કમોસમી વરસાદથી રાજ્યમાં ઊભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો રોગ પણ હવે વધુ વકરે તેવા સંજોગો ઊભા થયા છે. કમોસમી વરસાદથી સમગ્ર ગુજરાતમાં ઘઉં, ઇસબગુલ, જીરું, મેથી, ધાણા, ચણા, તમાકુ, દિવેલા અને કેરીના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો ભય ખેડૂતોમાં વ્યાપી રહ્યો છે. ખેતરોમાં પથરાયેલા તૈયાર પાક, યાર્ડમાં પડેલી કૃષિજણસો પલળી ગઈ હતી. સૌરાષ્ટ્રના માણાવદર પંથકમાં જિનીંગ-પ્રેસિંગ યુનિટોમાં પડેલી ગાંસડીઓ પલળી ગઈ હતી. ગોંડલ યાર્ડમાં આઠ હજાર ગુણી ધાણાં અને ૩ હજાર ભારી મરચાં પલળી ગયા હતા. કોડિનાર માર્કેટ યાર્ડમાં ૮ હજાર ગુણી ઘઉં તથા ૫૦૦ ટ્રેક્ટરમાં પડેલો ઘઉંનો જથ્થો પલળી ગયો હતો. ધોરાજી યાર્ડમાં પડેલો ૬૦૦ મણ કપાસ પલળી ગયો હતો. ત્રણ જિનીંગ મિલોમાં પડેલા કપાસના જથ્થાને નુકસાન થયું હતું.