ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવના ૭૦થી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે મૃતકાંક છને વટાવી ગયો છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છે કે, કોરોના પોઝિટિવના પાંચ દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા અપાઈ છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છેકે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલાં ભરી રહી છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીબ સહિતના ૫ લોકોને ૩૧મી માર્ચે કોરોન્ટાઈન કરાયાં છે. કુલ કેસોમાંથી બે દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા હોવાની માહિતી ૩૧મી માર્ચે અપાઈ હતી. ડિસ્ચાર્જ થયેલા પાંચ પૈકી ૩ લોકો ૬૦ વર્ષથી વધુ વયના હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે એવું કહી શકાય કે રાજ્યમાં યુવાનોની સાથે વૃદ્ધ પણ કોરોના મુક્ત થયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો ચુસ્તપણે અમલ અત્યંત અનિવાર્ય છે. રાજ્યમાં કુલ ૧૮૦૭૫થી વધુ લોકો હાલમાં હોમ કોરોન્ટાઈન છે.
હોટસ્પોટ જાહેર કર્યાં
કોરોના વાઈરસનો વિકરાળ પંજો હવે ગુજરાતમાં નવા પોકેટ્સમાં પ્રસરી રહ્યો છે. જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર શહેર-જિલ્લાને આવરી લેતા વિસ્તારોને કોરોના વાઈરસના હોટસ્પોટ જાહેર કર્યાં છે. આ હોટસ્પોટમાં આરોગ્ય વિભાગે અલગથી ખાસ ક્લસ્ટર્સ શોધી કાઢ્યા છે. એ ક્લસ્ટર્સને ફરતા ત્રણ કિ.મી.ના વિસ્તારનું મેડિકલ દ્રષ્ટીએ કોમ્બિંક કરાશે. જ્યારે તેના પછીનો પાંચ કિ.મી.નો વિસ્તાર બફર ઝોન છે. એમાં બીજા તબક્કાની ઝીણવટભરી કામગીરી શરૂ કરવાની જાહેરાત સોમવારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ કરી છે.
તેમના કહેવા પ્રમાણે, આ હોટસ્પોટમાં કેટલા પોઝિટિવ કેસ છે, ખાસ કરીને વિદેશ પ્રવાસની સાથે આંતરરાજ્ય અને જિલ્લા પ્રવાસ કરનારાઓને ઓળખી કાઢવામાંઆવ્યાં છે. હવે એના આધારે અમે જ્યાં પોઝિટિવ કેસ મળ્યાં છે તેની આસપાસના ત્રણ કિ.મી. વિસ્તારને ક્લસ્ટર તરીકે નિયત કર્યાં છે. આવા વિસ્તારો જ્યાં પોઝિટિવ કેસના સંપર્કમાં આવનારાઓને કોરોનાનો ચેપ લાગ્યો છે તેમાં આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરીને દરેકના સ્વાસ્થ્યની તમામ પ્રકારની જાણકારી એકત્રિત કરસે, સાથોસાથ કેટલાંક વૃદ્ધો, બીમારો જ નહીં, પરંતુ સ્વસ્થ જણાતા વ્યક્તિઓના પણ કોરોનાના પ્રોટોકોલ મુજબ રેન્ડમ ટેસ્ટ કરાશે.
૬.૧૫ કરોડ લોકોનો સર્વે કરાયો
અત્યાર સુધીમાં ૬.૧૫ કરોડ લોકોનો સર્વે કરાયો છે. ગુજરાતમાં જે કોરોના પોઝિટીવ કેસિસ છે તેમાં ૩૨ વિદેશ, ૪ આંતરરાજ્ય, ૩૭ લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જયંતી રવિએ વિશેષમાં જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને જોતાં વધુ ૧૦ લાખ ત્રિપલ લેયર માસ્કનો સ્ટોક હોવાનું જણાવાયું છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરાઈ રહ્યું છે. જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોવિડ-૧૯ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડો. જયંતી રવિએ ઉમેર્યું છે કે, આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં ૬૬૦ અને ખાનગીમાં ૧૭૩૯ એમ કુલ મળી કુલ ૨૩૯૯ વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે.
પીપીઈ કીટ દિલ્હીથી આવશે
ડો. રવિએ જણાવ્યું કે, રાજ્યમાં માસ્ક અને જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. એન-૯૫ માસ્ક રોજના ૩૦ હજાર અને ત્રિપલ લેયર માસ્ક રોજના ૩ લાખ આવે છે. જેનું વિતરણ કરાઈ રહ્યું છે. એ જ રીતે આરોગ્ય કર્મીઓ કે જેઓ પોઝિટિવ કેસની સારવાર કરી રહ્યા છે તેઓ માટે પીપીઈ કીટ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) પણ ઉપલબ્ધ છે અને વધુ જથ્થો વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી મંગાવી લેવાયો છે.
દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫ લાખ
મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત ટોચના અધિકારીઓની બનેલી કોર કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે લોકડાઉનને સફળ કરવા પોલીસ, એસઆરપી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો દિવસ રાત ફરજ બજાવે છે, સાથે નિરાધાર, વૃદ્ધોને સહાય પણ પહોંચાડે છે. આ જવાનોને કોરોના સંદર્ભમાં ફરજ દરમિયાન અવસાન થાય તો તેમના વારસદાર, પરિવારને રૂ. ૨૫ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૮મી માર્ચે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫ લાખ કોરોના વાઈરસના ઇલાજ માટે દવાઓ-સાધન સુવિધાઓ માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે.
ગરીબોને મફતમાં અનાજ કિટ અપાશે
મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે ૩૧મી માર્ચે જણાવ્યું હતું કે, લોકડાઉનના પગલે પહેલી એપ્રિલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરાશે. શ્રમિકોને મફતમાં અનાજની કિટ અપાશે. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને ૪થી તારીખથી અનાજ કિટનું વિતરણ કરાશે. આ માટે કમિટીની રચના કરાશે જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે. રેશનકાર્ડ ધારકોને ફોન કરીને બોલાવાશે. દુકાનદાર અને કમિટી ભીડ ન થાય એટલા માટે ૨૫ – ૨૫ને ફોન કરીને બોલાવશે. રાજ્યમાં અનાજ દળવાની ઘંટીઓ ચાલુ રખાશે.
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ફૂડ પેકેટ્સ અને ૨ હજાર કિલો શાકભાજીનું વિતરણ
લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ કરવા અને ભોજન પહોંચાડવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાએ અમદાવાદ તેમ જ અન્ય શહેર અને જિલ્લાઓમાં ફૂડ પેકેટ્સ અને ૨ હજાર કિલો શાકભાજીનું વિતરણ કર્યું હતું.
• રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ ચીમકી ૨૮મી માર્ચે આપી હતી કે, લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે. ડ્રોન સર્વેલન્સ મારફતે અમદાવાદમાં ૧૪ની અટકાયત કરાઈ હતી અને આદેશ થયો હતો કે ક્રાઇમબ્રાન્ચ-રેપિડ ફોર્સ પણ લોકડાઉનનો કડક અમલ કરાવશે.
• રાજ્યમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા મામલે ૫૦થી વધુ ગુનાઓ દાખલ થયાં છે. લોકડાઉનમાં જાહેરનામાના ભંગની ૬૮૦, હોમ હોમ કોરોન્ટાઈન ભંગની આશરે ૪૫૦ મળી ફરિયાદ નોંધાઈ છે.
• અમદાવાદ કલેક્ટરે બે જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં મકાન ખાલી કરાવવા મકાન માલિક મજબૂર કે જબરજસ્તી નહિં કરી શકે, કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા મજૂરની રહેવા અને જમવાની વ્યવસ્થા કન્સ્ટ્રકશન સાઇટના માલિકે કરવાની રહેશે. જો જાહેરનામાંનો ઉલ્લંઘન થશે તો માલિકો સામે કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
• રાજ્ય સુરક્ષા વિભાગે ૬૧૩૧ વાહનો જપ્ત કર્યાં અને કુલ ૫૮૯૮ની અટકાયત કરી છે.
• કોરોના સંક્રમણ ન થાય તે માટે બે મહિના માટે રાજ્યના ૧૨૦૦ કેદીને પેરોલ પર મુક્ત કરવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
• લોકડાઉનની સ્થિતિમાં ૨૭મી માર્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા ભાગની મસ્જિદોમાં શુક્રવારે મોટી માનવ મેદની સાથે જુમ્માની વિશેષ નમાઝ અદા થઈ નહોતી. જુમ્માની નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા ના હોય તેવું પહેલી વાર બન્યું છે.
• અમદાવાદના નિકોલ વિસ્તારમાં ૩૧મી માર્ચે પોલીસ ઈન્સ્પેક્ટરે શાકભાજી લઈને નીકળતા શ્રમિકોની આશરે ચારથી પાંચ લારીઓને ઊંધી વાળી દેતા હોવાનો વીડિયો વાયરલ બન્યો હતો. મીડિયામાં આ વીડિયો વાયરલ બનતાં પોલીસ અધિકારી સામે કડક પગલાંની માગ ઊઠી હતી અને ગણતરીના કલાકોમાં પીઆઇને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
• ગુજરાતમાં લોકડાઉનના કડક અમલ વચ્ચે ગુજરાત કોલેજ પાસેના રોડ પર પોલીસ કર્મચારીઓએ ભેગા થઈને રાત્રિ ક્રિકેટ રમતા હોવાનો વીડિયો વાઈરલ થતાં હોબાળો મચ્યો છે. આ વીડિયો ઉતારનારે સવાલ કર્યો છે કે શું પોલીસે એકબીજાથી એક નિશ્ચિત અંતર રાખું જરૂરી નથી? આ ઘટનાનો સોશિયલ મીડિયામાં સખત વિરોધ થતાં તપાસના આદેશ જારી કરાયાં છે.
• અરવલ્લીની રતનપુર બોર્ડર પર રાજસ્થાન પોલીસે શ્રમિકોને જવા ન દેતાં તેમની હાલત દયનીય થઈ હોવાના અહેવાલ હતા. રાજસ્થાન અને ગુજરાત સરકાર આશરો આપવાની ના પાડતાં અધવચ્ચે ફસાયેલા ૧૫૦૦ શ્રમિકોએ શામળાજી ચેકપોસ્ટ ઉપર સૂત્રોચ્ચાર કર્યાં હતાં. તાજેતરમાં જ ગુજરાતથી પગપાળા વતનમાં ગયેલા ૧૫૦૦ જેટલા શ્રમિકોને રાજસ્થાન સરકાર બસમાં ભરીને પરત શામળાજી ચેકપોસ્ટ (ગુજરાત બોર્ડર) ઉપર મૂકી ગઈ છે. ગુજરાતમાં પણ પરત પ્રવેશ આપવાની ના પાડી દેતા આ શ્રમિકો બંને રાજ્યની બોર્ડર ઉપર ફસાઈ ગયા છે.
• રાજકોટમાં પોલીસકર્મીઓએ લોકો ઘરમાં જ રહે તે માટે કોરોનાની ગંભીરતા અંગે જાગૃતિ ફેલાવવા એક ગીત બહાર પાડ્યું હતું. પોલીસ જીપમાં નીકળેલા પોલીસકર્મીઓએ શેરીએ શેરીએ આ ગીત ગાયું તેનો વીડિયો વાયરલ થયો છે.
• ઠેર ઠેર એપીએમસી માર્કેટમાં શાકભાજીની હોલસેલ ખરીદી માટે વેપારીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા દરેક સોસાયટીઓમાં ટ્રેક્ટર દ્વારા શાકભાજી પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે.
• રાજ્યમાં લોકડાઉનને કારણે શહેરમાં ગુડી પડવાના ઘણા જાહેર કાર્યક્રમ રદ કરાયા હતા. મહારાષ્ટ્રિયન પરિવારોઓ ઘરની બાલ્કની કે અગાસીમાં ગૂડી મૂકી તેની પૂજા કરી હતી. આ દરમિયાન પરંપરાગત પોષાકની સાથે પરિવારના સભ્યોએ માસ્ક પણ પહેર્યાં હતાં.
• ડો. જયંતી રવિએ જણાવ્યું કે, લોકો હેલ્પલાઈન અને ઈમેલથી માહિતી મેળવી શકે છે. નાગરિકોએ આરોગ્યલક્ષી કે તબીબી સેવાઓની જરૂર હોય તો ૧૦૪ હેલ્પલાઈન તથા મેડિકલ સિવાયની અન્ય ઈમરજન્સી માટે સ્ટેટ કંટ્રોલના ૧૦૭૦ નંબર પર તથા જિલ્લા કક્ષાએ ૧૦૭૭ નંબર પર સંપર્ક કરવાનો છે. એ જ રીતે કોવિડ ૧૯ સંદર્ભે નાગરિકોને જે પણ પ્રશ્નો હોય તો તેમણે [email protected] અને [email protected] પર ઈ-મેઈલ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.