રાજ્યમાં કોરોના કેસની સંખ્યા ૬૦૦ને પારઃ મધ્ય પ્રદેશ પછી મૃત્યુઆંકમાં બીજો ક્રમ

Wednesday 15th April 2020 06:30 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૬૦૦ને પાર કરી ચૂકી હોવાના અહેવાલ ૧૪મી એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ૬૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. ૨૮ લોકોનાં આ બીમારીથી મોત થયાં છે અને પંચાવન લોકો સાજા થયાં છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્ય સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું છે કે, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના કેસનો આંક ખૂબ જ વધી રહ્યો છે. આ બંને શહેરમાં અંકુશ મેળવવા રાજ્ય આરોગ્ય વિભાગે સક્રિય પ્રયાસો હાથ ધર્યાં છે. કેસનું પ્રમાણ વધુ છે તે વિસ્તારોને બફર ઝોન જાહેર કરી ડોર ટુ ડોર સર્વેલન્સ કરાઈ રહ્યું છે. ટેસ્ટનું પ્રમાણ પણ વધારાયું છે. કોરોના વાઈરસના ૧૩મીથી એક જ દિવસમાં રાજ્યમાં ૪૫ નવા કેસ નોંધાતા સરકાર અને જનતામાં ભય ફેલાયો છે. નવા કેસમાંથી ૩૧ કેસ અમદાવાદમાં નોંધાયા હતા.
 ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ વધ્યું છે ત્યારે કમ્યુનિટી સંક્રમણ થયાનો સ્પષ્ટ ઈનકાર કરતાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એક પણ જિલ્લો કોરોના ત્રીજા સ્ટેજમાં નથી. રાજ્યમાં બાર જિલ્લાઓ એવા છે કે જ્યાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. આ
જિલ્લા બિલકુલ સલામત પણ છે. આ જિલ્લામાં કોરોનાનો પ્રવેશ ન થાય તે માટે રાજ્ય આરોગ્ય વિભાગ અને સરકારનું ખાસ ધ્યાન કેન્દ્રિત છે.
કુલ ૧૪૯૮૦ ટેસ્ટ કરાયા જેમાંથી ૧૪૩૬૩ નેગેટિવ
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ કેસની વિગતો આપતાં ૧૪મી એપ્રિલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૪૯૮૦ ટેસ્ટ લેવાયા છે. જેમાંથી ૧૪૩૬૩ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૬૧૭ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરેન્ટાઈન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરેન્ટાઈન છે. ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે.
દર ૧૦ લાખે માત્ર ૬૭ લોકોના જ ટેસ્ટ
કોરોના વાઈરસને નાથવા માટે દિલ્હી સરકારે પાંચ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરેલો છે. જેમાં, રેન્ડમ ટેસ્ટિંગનો પણ સમાવેશ છે. ગુજરાતમાં કોરોના વાઈરસને રોકવા માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે, હવે રાહ એ છે કે, સરકાર રાજ્યમાં રેન્ડમ ટેસ્ટિંગ અંગે ક્યારે નિર્ણય લે છે. ગુજરાતમાં ૬.૨૫ કરોડની વસ્તીએ દર ૧૦ લાખે અંદાજે ૬૭ લોકોના ટેસ્ટ થયાં છે.
ગુજરાત બીજા ક્રમેઃ મધ્ય પ્રદેશ મોખરે
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે ગુજરાતની સરખામણીએ અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, દિલ્હી તામિલનાડુ, રાજસ્થાનમાં કેસ અને મોતની સંખ્યા વધુ છે, પરંતુ એક એનાલિસિસ પ્રમાણે કોરોના વાઈરસના કેસની દૃષ્ટિએ મોતના પ્રમાણમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને આવે છે જ્યારે મધ્ય પ્રદેશ મોખરે છે. રાજ્યમાં કોરોનાના દર્દી અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને રાજ્યમાં લોકડાઉન માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવાસ્થાને એક બેઠક યોજી હતી.
૩ વિભાગોને ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી
મુખ્ય પ્રધાને બેઠકમાં રાજ્ય સરકારે ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી ત્રણ વિભાગોને સોંપવાની ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, શ્રમ-રોજગાર, ખાણ ખનિજ વિભાગ તથા જીઆઈડીસી અને કુટિર વિભાગને ઉદ્યોગ શરૂ કરવા જવાબદારી સોંપાઈ છે અને રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો અંગે માહિતી માગી છે.
શાળા ફીમાં વધારો કરી શકશે નહીં
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ અને વાલીઓની તરફેણમાં પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.
૩ કોંગી પ્રધાનો સાથે ચર્ચા
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે પણ બેઠકમાં ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહ પ્રધાન પણ જોડાયા હતા. મુખ્ય પ્રધાને જાહેરાત કરતાં જણાવ્યું કે, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં અને દાણીલીમડામાં ૧૫મી એપ્રિલના સવારે ૬.૦૦ વાગ્યાથી ૨૧ એપ્રિલ સુધી કર્ફ્યૂ લાગશે. મહિલાઓને બપોરે ૧થી ૪ વાગ્યા સુધી (૩ કલાક) મુક્તિ અપાશે.

• રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૫ એપ્રિલ-૨૦૨૦ બુધવારથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો હતો.
• ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરાય છે.
• લોકડાઉનના ૨૦ દિવસમાં ૩૪૨૬ કેસમાં ૮૭૯૧ લોકો પકડાયા. વિવિધ ગુનામાં સૌથી વધુ કેસ જાહેરનામા ભંગના, સંખ્યાબંધ વાહનો જપ્ત કરાયા.
• અમદાવાદમાં સોમવારથી જાહેર માર્ગ પર નીકળતા, ધંધાના સ્થળે બનેલા લારી, ગલ્લા, શાકભાજી વેચનારા, દૂધવાળા, ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ, હેલ્થ સેવા સાથે સંકળાયેલા તમામે ફરજિયાત માસ્ક પહેરવા પડશે એવો આદેશ મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ કર્યો હતો. જો કોઈ માસ્ક વગર ઝડપાય તો રૂ. ૫૦૦૦ સુધીનો દંડ વસૂલાશે અને દંડના રૂપિયા ન હોય કે કોઈ આનાકાની કરે તો તેમની સામે પોલીસમાં ફરિયાદ કરીને તેને ત્રણ વર્ષની સાદી જેલની સજા થઈ શકશે એવું કમિશનરે જણાવ્યું હતું.
• આરોગ્ય વિભાગે ૧૧મી એપ્રિલથી પાંચ જિલ્લા કે જ્યાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી ત્યાં રેન્ડમ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. તે હેઠળ બનાસકાંઠા, તાપી, નવસારી, જૂનાગઢ અને અમરેલીમાં આ ટેસ્ટ કરાયાં છે. આવાં કુલ ૧૪ જિલ્લામાં ૧૦૦-૧૦૦ ટેસ્ટ કરાશે.
• લોકડાઉનના કારણે ઉત્તર પ્રદેશમાં ફસાઈ ગયેલા મુસાફરોમાંથી ગોકુળ, મથુરા, વૃંદાવન, જેવા સ્થળે ગયેલા ૩૦૦ જેટલા યાત્રાળુઓને સહી સલામત રીતે ગુજરાતમાં તેમના ઘેર પરત મોકલવાની વ્યવસ્થા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે કરી હતી. અંદાજે ૩૦૦ જેટલા યાત્રાળુઓ ૧૩મીએ જ રવાના થયા હતા.
• વડોદરાના ૬ હજારની વસતી ધરાવતા નાગરવાડામાં ચોથી એપ્રિલે પહેલો કેસ આવ્યો હતો હવે ૮૩થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા જે ૧૭ રાજ્યો કરતાં પણ વધુ હોવાથી તંત્રે સૈયદપુરા નાગરવાડા વિસ્તાર અને તાંદલજાને રોડ ઝોન જાહેર કરી અંદાજે દસ હજાર લોકોને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કર્યાં છે.
• કોરોનાના ભય વચ્ચે સુરા જમાતના ૧૦૯૫ની શોધખોળ કરાઈ રહી છે. સોશિયલ મીડિયામાં અફવાઓ અને વૈમનસ્ય ફેલાવતાં ૧૬૪ સોશિયલ એકાઉન્ટ પોલીસે બ્લોક કરી દીધાં છે. દીલ્હીના નિઝામુદ્દીન મરકઝમાંથી પરત ફરેલા ભાવનગરના વધુ ત્રણ ઓળખાયા છે જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે સુરા જમાતના ભરૂચમાં ચાર પોઝિટિવ કેસ આવતાં તેના ૧૦૯૫ વ્યક્તિઓની શોધખોળ કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter