રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા વધતાં પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો

Tuesday 18th August 2020 12:22 EDT
 
 

ગાંધીનગરઃ કોરોના સંક્રમણની દૃષ્ટિએ ગુજરાતની સ્થિતિ ચિંતાજનક અને સુરતની સ્થિતિ ભયજનક સ્તરે પહોંચી ગઇ છે. ૧૮મી ઓગસ્ટના અહેવાલો પ્રમાણે રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થતાં કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. ૧૮મીથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૬ પોઝિટિવ કેસ નોંધાતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા ૮૦૯૩૨ થઈ હતી. રાજ્યમાં કોરોનાથી કુલ મૃતકાંક ૨૮૨૨ થયો હતો અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૬૩૭૧૦ સાજા થયાં છે. ૧૮મીની છેલ્લી સ્થિતિ મુજબ ૧૪૪૧૦ દર્દીઓ સારવાર હેઠળ હતા. ગુજરાત માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર ૭૮.૧ ટકા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. આખા રાજ્યમાં ખાનગી અને સરકારી મળીને કુલ ૬૨ લેબ કાર્યરત છે. રાજ્યમાં ૧૮મી ઓગસ્ટે ૫૭૨૩૪ ટેસ્ટ કરાયા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૮મીના છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ૧૭૫ કેસ સુરત કોર્પોરેશનના નોંધાયા હતા. ડાંગ જિલ્લામાં સૌથી ઓછો ૧ કેસ નોંધાયો હતો. અમદાવાદ કોર્પોરેશનના ૧૪૯ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના ૧૭મી ઓગસ્ટના અહેવાલો પ્રમાણે ૪૧ દિવસથી અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક ૬થી ઉપર ગયો નથી. છેલ્લે ૬ઠ્ઠી જુલાઈએ અમદાવાદમાં ૭ દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં.
જન્માષ્ટમીની સાદગીપૂર્ણ ઉજવણી
કોરોનાના કાળમાં રાજ્યમાં દ્વારકા, ડાકોર અને શામળાજીમાં સાદાઈથી કૃષ્ણના જન્મની ઉજવણી કરાઇ હતી. દ્વારકા જગત મંદિરના પરિસરમાં જ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. દ્વારકા અને ડાકોરમાં ભક્તો ઓછા દેખાયા હતા. જોકે શામળાજીમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
હીરાઘસુઓની બેદરકારીથી કોરોના વકર્યોઃ રાજ્ય સરકાર
સુરતમાં કોરોનાના લીધે, વકરતી સ્થતિ અંગે હાઈ કોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં હાઈ કોર્ટે ટકોર કરી હતી કે, સલામતીના ભાગરૂપે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. તાજેતરની સુનાવણીમાં રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં સુરતની સ્થિતિ મુદ્દે રજૂઆત હતી કે, સુરતમાં હીરા ઉદ્યોગના કામકાદોએ કોરોના માટેની સલામતીના સૂચનોને અવગણ્યા વગર કામ કર્યું. તેથી કોરોના વકર્યો છે. હાલમાં સરકારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે એસઓપી બહાર પાડીને કોરોના પર કાબૂ મેળવવા પૂરતાં પગલાંનો પ્રયત્ન કર્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, જો કોઈ ખામી રહી હશે તો તેને સુધારવામાં પણ આવશે. રાજ્યની હાઈપાવર કમિટીએ સુરતની બે વાર મુલાકાત લીધી છે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાને તેમના જન્મદિને પણ સ્થિતિનો ખ્યાલ મેળવવા સુરતની મુલાકાત લીધી હતી.
ડાયરામાં ઝૂમનારા સાંસદ ધડુક કોરોનાગ્રસ્ત
ગોંડલમાં ઘર આંગણે જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવનો ડાયરો યોજી, માસ્ક દાઢીએ લટકાવી, સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને બેફિકર બનીને નાચેલા ભાજપના સાંસદ રમેશ ધડુકને કોરોના લાગી ગયો છે. પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સોમવારે પુત્રવધૂ સાથે પોરબંદરના સાંસદ પણ ચેપગ્રસ્ત હોવાનું જાહેર થયું હતું. મુખ્ય પ્રધાને માસ્ક નહીં પહેરનારા પાસેથી રૂ. ૧૦૦૦ દંડ વસૂલવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે ભાજપના સાંસદે ગોંડલમાં પોતાના ઘર આંગણે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં ધડુકનો પરિવાર ઉપરાંત ધર્માચાર્યો હતાં. છેક કચ્છથી આવેલી લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોનો ડાયરો પણ હતો. એ પછી રમેશ ધડુકનો પુત્ર ડો. નૈમેષ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયા બાદ રમેશ ધડુકનો રિપોર્ટ પણ પોઝિટિવ હોવાનું ટ્વિટરના માધ્યમથી બહાર આવતાં જન્માષ્ટમીએ ગોંડલના ઉત્સવમાં સામેલ થયેલા તમામની ચિંતા વધી ગઈ છે.
પ્રવાસન સચિવ મમતા વર્માને કોરોના
પ્રવાસન સચિવ મમતા વર્મા કોરોના સંક્રમિત હોવાના સમાચાર ૧૩મીએ હતા. કોવિડ-૧૯ના નિયંત્રણ અને સારવાર સંદર્ભે તેમને પાટણ જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. મમતા કોરોનાગ્રસ્ત થતાં તેમના પતિ અને GSPCના મેનેજિંગ ડિરેક્ટર સંજીવકુમાર હોમ ક્વોરેન્ટાઈન થયાં છે. વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગના સેક્રેટરી હરિત શુકલા પછી સચિવાલયમાં વધુ એક સેક્રેટરીને કોરોનાનો ચેપ લાગ્યો છે. સચિવાલયમાં બ્લોક નંબર પાંચમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ છે. સેક્રેટરીઓએ ટેબલની આગળ એક્રેલિક શીટના પડદા પણ મૂકી દીધાં છે.
કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની તબિયત સ્થિર
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને ૨૨મી જૂને વડોદરામાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૫૫ દિવસથી વધુ સમય થયાં છતાં હજુ પણ તેઓ સિમ્સમાં દાખલ છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે, પણ હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ પડે તેવી તેમના શરીર પર અસર થઇ છે.
ઝાયડસ કેડિલા માર્ચ, ૨૦૨૧માં કોરોના વેક્સિન બજારમાં મૂકી શકે
ગુજરાતની ફાર્મા સેક્ટરની અગ્રણી કંપની ઝાયડસ કેડિલા દ્વારા આગામી વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની રસી બજારમાં મુકાશે તેવો કંપનીના ચેરમેન પંકજ પટેલે આશાવાદ તાજેતરમાં વ્યક્ત કર્યો છે. ઝાયડસ કેડિલાએ કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે ZyCov-D નામની રસી તૈયાર કરી છે. કંપનીએ કહ્યું કે, ZyCov-D રસી પ્લાઝમિડ DNA રસી છે. આ રસીને સફળ બનાવવા નોન-રેપ્લિકેટિંગ અને નોન-ઇન્ટિગ્રેટિંગ પ્લાઝમિડનો ઉપયોગ કરીને DNA વેક્સિન પ્લેટફોર્મ તૈયાર કરવામાં અમે સફળ થયા છીએ.
આ રસીના ફેઝ-૧ના ક્લિનિકલ ટ્રાયલના ડોઝિંગ-પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયાં છે. આ અંગે સ્વતંત્ર ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા તમામ ડેટાની સમીક્ષા કરાઈ હતી. જેમાં આ વેક્સિન સફળ રહી હોવાના તારણો જોવા મળ્યાં છે. આ રસીના ફેઝ-૧ના સફળ પરીક્ષણના આધારે હવે ફેઝ-૨ ક્લિનિકલ ટ્રાયલનો પ્રારંભ કરાયો છે.
આ રસીના પરીક્ષણમાં જોવા મળ્યું છે કે ૬૦ ટકા જેટલા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકી છે. ઝાયડસ – કેડિલાએ જણાવ્યું છે કે, આ વેક્સિનના સંદર્ભમાં ઔષધ નિયમનકારી સત્તામંડળ સહિત તમામ મંજૂરી મળી જાય પછી ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકીશું. ઝાયડસના વેક્સિન ટેક્નોલોજી સેન્ટરમાં આ રસીનું ઉત્પાદન કરાશે. એક હજાર તંદુરસ્ત અને વયસ્ક વોલન્ટિયર્સ પર ફેઝ-૨ના ટ્રાયલ કરાશે. આ રસી સૌ પ્રથમ ભારતમાં ઉપલબ્ધ બનાવાશે.
કંપનીએ જણાવ્યું છે કે, આપણા દેશમાં વધુ વસતી છે અને તમામ લોકોને રસી પહોંચી શકે અને સ્વદેશી માગ સંતોષાઈ શકે તે માટે અમારા પ્રયાસો રહેશે. આપણી ક્ષમતા મર્યાદિત છે અને તેથી રસીનો મહત્તમ જથ્થો ઉત્પન્ન કરીને લોકોને પહોંચાડી શકાય તે બાબતને અગ્રતા અપાશે. જે લોકોને કોરોના વાઇરસને કારણે વધુ જોખમ ઊભું થયું હોય તેમને પહેલાં આ રસી આપવી જોઈએ. ભારતમાં આ રસી ઉપલબ્ધ બનાવાયા પછી અન્ય દેશો માટે તે રસીનો સપ્લાય પૂરો પાડવામાં આવશે. આ રસીના ક્લિનિકલ ટ્રાયલને ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂરા કરવા પર અમે વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter