ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૦૨૬ નોંધાયાના અહેવાલ ૨૧મી જુલાઈએ હતાં. અત્યાર સુધીમાં (૨૧ જુલાઈ સુધીમાં) રાજ્યમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણનો આ સૌથી ઊંચો આંકડો છે. આ ઉપરાંત રાજ્યભરમાં કોરોના કેસની કુલ સંખ્યા પણ પ૦ હજારને પાર થઈને ૫૦૪૫૬ પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે ૨૧મી જુલાઈએ જાહેર કર્યું હતું. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ફેલાવાના ગ્રાફમાં મંગળવારે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ ૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં વધુ ૩૪ દર્દીઓનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૨૨૦૧ પહોંચ્યો હતો. મંગળવારે ૭૪૪ લોકોએ કોરોના હરાવ્યા સાથે રાજ્યમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોનો આંકડો ૩૬૪૦૩ પહોંચ્યો હતો. મંગળવાર સાંજની છેલ્લી સ્થિતિ મુજબ ૧૧૮૬૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૨ વેન્ટિલેટર ઉપર હતાં અને ૧૧૭૭૯ સ્ટેબલ હતાં.
કોરોના ટેસ્ટિંગમાં દેશમાં ૨૭મા ક્રમે
ભારતમાં કોરોનાના કેસોનો આંક દસ લાખના આંકને પાર કરી કરી ગયો છે. જ્યારે મૃતકોની સંખ્યા ૨૫૫૮૪ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન અને ચીનની તુલનામાં ભારતમાં સ્થિતિ ગંભીર ભૂલોના કારણે રહસ્યમય રીતે ટેસ્ટિંગ ખૂબ જ નિમ્ન દરે હોવાના અહેવાલ છે.
ટેસ્ટિંગ થતું નહીં હોવાથી દર્દીઓ કોરોનાની બીમારીના ચિહ્નો ખૂબ જ આગળના તબક્કા વધે ત્યારે સારવાર લેવા આવે છે તે જોતાં આગામી મહિનાઓમાં મૃતકોનો આંક વધી શકે તેવી સંભાવના મેડિકલ એક્સપર્ટ દર્શાવે છે. નાગરિકોને શંકા પણ છે કે હવે સરકાર કોરોનાના દર્દીઓના અને મૃતકોના આંક છુપાવે છે. આ બધામાં ગુજરાતની સ્થિતિ પણ દેશમાં અતિચિંતાજનક છે. કોરોના ટેસ્ટિંગ મામલે દેશમાં ગુજરાત ૨૭મા ક્રમે છે છતાં કોરોના સંક્રમિત કેસનો આંકડો પ૦ હજારને પાર થઈ ગયો છે.
વિશ્વના અધિકૃત એમઆઈટીએ અભ્યાસ બાદ એવો ભય વ્યક્ત કર્યો છે કે વર્તમાન મોડેલ પ્રમાણે ૨૦૨૧ના પ્રારંભમાં ભારતમાં રોજના અઢી લાખ કેસ હોય તેવી તૈયારી સરકાર અને મેડિકલ હેલ્થ મેનેજમેન્ટ રાખવી પડશે. આવી સ્થિતિને ડામવા અત્યારથી જ શક્ય એટલા ટેસ્ટિંગ કરવાની જરૂર છે જેથી બીમારીના પ્રારંભિક તબક્કે જ દર્દીઓની સારવાર થઈ જાય. આ પ્રારંભના તબક્કે તો દર્દી ઘરે પણ આઈસોલેટ થઈને સારવાર લઈ શકે. હોસ્પિટલ પર ભારણ થવાના ડરથી સરકાર ખોટી ડરી રહી છે.
ભારતમાં પોઝિટિવ ટેસ્ટ ૧૦ ટકાની આસપાસ છે જે જુદા જુદા રાજ્યોમાં ૧૧થી ૨૦ ટકા છે, એટલે કે ૧૦૦ નાગરિકોનાં ટેસ્ટ કરીએ તો દેશમાં સરેરાશ ૧૦ને સરેરાશ કોરોના નીકળે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૨૩.૧૧ ટકા પછી તે તેલંગાના ૧૭.૫૫, ગુજરાત ૧૧.૪૮, કર્ણાટકમાં ૧૧.૬૬નો કોરોના પોઝિટિવ કેસનો રેટ છે. તમિલનાડુ બિહારમાં ૧૧ નજીક છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળી દસ લાખની વસ્તી દીઠ ટેસ્ટિંગની યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાત ૨૭મા ક્રમે છે. જો દાદરા-દમણ, લદ્દાખ, આંદામાન, ચંડીગઢ, પુડુચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશ બાદ કરીએ તો ૨૯માંથી ગુજરાત ૨૭મે ક્રમે કહેવાય.
WHOના માપદંડને જાળવવામાં ગુજરાત નિષ્ફળ?
ગુજરાતમાં દસ લાખની વસ્તી દીઠ ૭૪૮૯ ટેસ્ટ થાય છે અને ૧૧.૪૮ ટકા પોઝિટિવ રેટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રત્યેક દેશને એવી અપીલ કરી છે કે કમ કે કમ રોજ દસ લાખની વસ્તી દીઠ ૧૪૦ નાગરિકોના કોરોના ટેસ્ટ થવા જોઈએ. તેમાં પણ ભારતના ૨૨ રાજ્યો જ ૧૪૦ કે વધુ ૧૦ લાખની વસ્તી દીઠ ટેસ્ટ કરે છે. ગુજરાત અને પશ્ચિમ બંગાળ આ યાદીમાં સ્થાન જ નથી ધરાવતા. ભારતમાં રોજના દસ લાખની વસ્તી દીઠ ૨૦૧ નાગરિકોના ટેસ્ટ થાય છે. ગોવા ૧૦૫૮, દિલ્હી ૯૭૮, તમિલનાડુ ૫૬૩ ટેસ્ટ રોજના દસ લાખની વસ્તી દીઠ કરે છે.
દિલ્હીની ટીમે માત્ર સરકારની વાહવાહી કરી
ગુજરાતમાં મુખ્ય શહેરોમાંથી અમદાવાદ અને સુરતની સ્થિતિ કોરોના મામલે ગંભીર છે. તંત્રની લાપરવાહીથી લોકો જીવ ગુમાવી રહ્યાં છે અને દવાઓ તથા સારવાર પણ પૂરતા પ્રમાણમાં મળતાં ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. આમ છતાં દિલ્હીથી રાજ્યમાં વિઝિટે આવેલી ઉચ્ચકક્ષાની ટીમને ગુજરાતમાં બધું બરાબર લાગ્યું છે. ઉપરથી આ ટીમે ગુજરાત સરકારની કોવિડ-૧૯ ને કાબૂમાં લેવાની કામગીરી અંગે સરકારની ભરપૂર પ્રશંસા કરી હોવાના અહેવાલ ૧૭મીએ હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પોલ, આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજા સામેલ હતા. ૧૬મી જુલાઈએ સુરતની અને ૧૭મી જુલાઈએ અમદાવાદની મુલાકાત બાદ સાંજે આ ટીમે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજી પછી ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં પત્રકાર પરિષદ યોજી હતી.
ધનવંતરી રથની કામગીરી વખાણી
ડો. વિનોદ પોલે સુરતમાં અને અમદાવાદમાં કોરોના કાબૂમાં લેવા માટે ઘેર ઘેર સર્વેલન્સ, ધનવંતરી રથ દરેક વિસ્તારમાં ફેરવવા જેવા રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંઓને ‘બેસ્ટ પ્રેક્ટિસિસ’ ગણાવી હતી. ડો. વિનોદ પોલે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં ગાડી પાટે ચઢી રહી છે અને કામદારો પુનઃ કામે લાગી રહ્યાં છે. સુરતના ટેક્સ્ટાઇલ તથા ડાયમંડ ક્ષેત્રોમાં કોવિડ-૧૯ની એસઓપી પ્રમાણે કામદારો માસ્ક પહેરીને, વારંવાર હાથ ધોઈને તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતાં છૂટા છૂટા બેસીને કામ કરે તેવી વ્યવસ્થા કારખાનેદારોએ કરવી પડશે. તે સૌના હિતમાં પણ છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, હું અગાઉ પણ અમદાવાદ આવ્યો અને હવે ફરી આવ્યો છું. પરિસ્થિતિમાં મને બહુ મોટો ફેર લાગ્યો છે. અત્યારે હોસ્પિટલના બેડ અને આઇસીયુ ખાલી જોવા મળ્યા છે. આ ઉપરાંત મરણાંકમાં પણ મોટો ઘટાડો થયો છે. આ બધું રાજ્ય સરકારના શ્રેણીબદ્ધ પગલાંઓને આભારી છે.
ઓક્સિજન અને સ્ટિરોઇડ થેરપીનો જ ઉપયોગ
દિલ્હીની ટીમને, દવાઓની તંગીની વ્યાપક ફરિયાદો છતાં કોઈ જાતની અછત દેખાઈ નથી. ડો. વિનોદ પોલે કહ્યું કે, રેમડેસિવિર તથા ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની આડઅસરો ગંભીર છે તેથી ના છૂટકે એનો ઉપયોગ કરવો જોઈએ. મહદંશે દર્દીઓ માટે ઓક્સિજન તથા સ્ટેરોઇડ થેરપી જ ઉપયોગમાં લેવી.
રેમેડેસિવિરના પાંચ હજાર ઇન્જેક્શન ગુજરાતને
કોરોનાની સારવારમાં સારાં પરિણામો આપતાં રેમેડેસિવિર ઇન્જેક્શન માત્ર બે કંપની દ્વારા બજારમાં ઉપલબ્ધ હોવાથી તેની અછત ઊભી થઈ હતી. જોકે હિટ્રોન અને સિપ્લા કંપનીની સાથે હવે અમેરિકાની માયલન લેબે બેંગ્લુરુમાં રેમેડેસિવિરનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેથી ઇન્જેક્શનની પ્રથમ બેચ તૈયાર થતાં કંપનીએ ૧૦૦ મિલિ ગ્રામનાં પાંચ હજાર રેમેડેસિવિર રવિવારે હવાઈ માર્ગે ગુજરાતને મોકલ્યા હતા. દવા બજારમાં પણ આ કંપનીએ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવતાં રેમેડેસિવિર ઇન્જેક્શનની અછત ઘટશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું કે, હવે મહિને ૪ લાખ ઇન્જેક્શનના ઉત્પાદનની ક્ષમતા ધરાવતી અમેરિકાની માયલન લેબને ભારતમાં ઉત્પાદન કરવાની મંજૂરી મળ્યા બાદ કંપનીના બેંગ્લુરુ ખાતેનાં પ્લાન્ટમાં રેમેડેસિવિરનું ઉત્પાદન શરૂ થવાથી ઇન્જેક્શન પ્રમાણમાં વધુ મળશે.
ટોસિલિઝૂમેબ ઈન્જેકશન વેચવાનું રાજ્યવ્યાપી કૌભાંડ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ. જી. કોશિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓને ટોસિલિઝૂમેબ ઈન્જેકશન સરળતાથી મળી રહે તેથી મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સતત મોનીટરિંગ કરે છે. રાજ્ય સરકાર ટોસિલિઝૂમેબ ઈન્જેકશન નિઃશુલ્ક પૂરા પાડા છે. જોકે રાજ્યમાં ટોસિલિઝૂમેબ ઊંચા ભાવે વેચાણનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદમાં ભૂયંગદેવની એક હોસ્પિટલમાં કોરોનાના એક મહિલા દર્દીની સારવાર વખતે તેમના પતિને સાબરમતીમાંથી ટોસિલિઝૂમેબ ઈન્જેકશન (૪૦૦ મિ.ગ્રા.) માટે પ્રિસ્ક્રિપ્શન અપાયું હતું, પરંતુ દર્દીના સગા ટોસિલિઝૂમેબ ઈન્જેકશન ૨૫૦ મિ.ગ્રા.નું ખરીદીને લાવ્યા હતા. આ ઈન્જેક્શન વાપર્યા પછી ડોક્ટરે ભાવ અંગે શંકા વ્યક્ત હતી. દર્દીના સગાએ કહ્યું કે, સાબરમતીમાં એક દુકાનમાં રૂ. ૧૩૫૦૦૦માં બિલ વિના તેમને ઈન્જેક્શન અપાયું હતું. આ અંગે વધુ તપાસમાં દવાના દુકાનદારે પાલડીમાં હેપ્પી કેમિસ્ટ એન્ડ પ્રોટિન હાઉસના માલિક નિલેશ લાલીવાલ પાસેથી રૂ. ૭૦ હજારમાં ૪ બોક્સ ખરીદ્યા હોવાનું કહ્યું હતું. નિલેશ લાલીવાલની પૂછપરછમાં નકલી ટોસિલિઝૂમેબના કાર્ટૂનની ડિઝાઈન મળતી આવી હતી અને તેના લેબલની ડિઝાઈનમાં ચેડાં કરાયા હતા. ફોટોશોપમાં એડિટ કરીને તેના પર ટોસિલિઝૂમેબ ઈન્જેકશનનું નામ પણ લખાયું હતું. નિલેશ લાલીવાલની પૂછપરછ કરાતાં જણાયું કે, સુરતમાં ઈસ્માઈલ તાઈ પાસેથી તે બનાવટી ઈન્જેકશન મંગાવે છે. સુરતના ઔષધ નિયમનતંત્રના અધિકારીઓ સાથે સંકલન કરીને ઈસ્માઈલ તાઈના ઘેર દરોડામાં ફિલ મશીન, સિલ મશીન, કોડ મશીન, બનાવટી કાચા દૃવ્યો, પેકિંગ, વગેરે સહિત રૂ. ૮૦ હજારનો મુદ્દામાલ અને અન્ય ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. ઈસ્માઈલ તાઈએ બનાવટી ટોસિલિઝૂમેબ ઈન્જેકશન ૨૫૦ એમ.જી.-એમ.એસ્લ. (એક્ટેમરા)ના બનાવટી લેબલ લગાવીને હર્ષ ઠાકોર અને નિલેશ લાલીવાલ સાથે ભેગા મળીને કૌભાંડ આચર્યું હોવાનું ખૂલ્યું હતું.
આ ઉપરાંત ડો. કોશિયાએ જણાવ્યું કે સુરતની સાર્થક ફાર્મા નામની હોલસેલ એજન્સી દ્વારા નકલી વેપારીને રૂ. ૪૦ હજારની કિંમતનું ઇન્જેક્શન ૫૭ હજારમાં વેચાયું હતું. એજન્સીના લાયસન્સ હોલ્ડર મહિલા ઉમા કેજરીવાલ પાસે ખરીદીના બિલ પણ ન હતા. તેમની પાસેથી પણ ૩ ઇન્જેક્શન જપ્ત કરાયા હતાં. પૂછપરછમાં તેમણે આ ઇન્જેક્શન સુરતની ન્યૂ શાંતિ મેડિસીન્સના માલિક મિતુલ શાહ પાસેથી રૂ. ૫૦ હજારમાં ખરીદ્યા હતા.
આ વેપારીએ અમદાવાદની કેબીવી ફાર્મા એજન્સીના માલિક અમિત મંછારામાની પાસેથી ખરીદી તેના રૂ. ૪૫ હજાર લેખે અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ તમામ સામે વિવિધ કાયદા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ રહી છે.
ગુજરાતમાં કુલ ૧૨ ધારાસભ્યોને કોરોના
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કુલ ૧૨ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બન્યા હોવાના અહેવાલ છે. સોમવારે મોડી સાંજે સુરતના ધારાસભ્ય અને સચિવ પુણેશ મોદી પણ કોરોનાનો ભોગ બન્યાં છે. તેમનો આખો પરિવાર એટલે કે તેમના બંને ભાઈઓ, સાળા અને તેમના અંગત મદદનીશ સારવાર હેઠળ છે. આ પહેલા ભાજપના કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ અને કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા અને રમણ પાટકર કોરોનાનો ભોગ બન્યા હતા તો કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરેડી, ચિરાગ કાલરિયા અને ગેનીબહેન ઠાકોરને કોરોના થયો હોવાના અહેવાલ હતા. જોકે તેમાંથી ઘણા સાજા પણ થઈ ગયા છે. આ ઉપરાંત અનેક શહેરોના નગરસેવકોને પણ કોરોના થયો હતો.
કોંગ્રેસના પેટલાદ બેઠકના ધારાસભ્ય નિરંજન પટેલ કોરોનામાં પટકાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરાયાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય કોરોનામાં પટકાયા છે.
ભરત સોલંકીનો રિપોર્ટ નેગેટિવ
રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોનામાં સપડાયેલા કોંગ્રેસી ભરતસિંહ સોલંકીની તબિયતમાં હવે ખાસ્સો સુધારો થયો છે. પંદરેક દિવસ વેન્ટિલેટર પર રહેલા ભરત સોલંકીનો રિપોર્ટ આખરે નગેટિવ આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના સંક્રમિત ભરતસિંહને શરૂઆતના તબક્કામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં ત્યાં તેમની તબિયત વધુ લથડી હતી. જેથી તેમને અમદાવાદ ખસેડાયા હતાં. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંય તેમની તબિયત બગડતાં તેમને હાઇફલો વેન્ટિલેટર પર રખાયા હતાં. એઇમ્સના ડોક્ટરોએ પણ વીડિયો કોન્ફરન્સથી તેમને સારવાર આપી હતી. આખરે ભરત સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
અનડા પ્રકાશનના ભરતભાઈનું કોરોનાથી નિધન
છેલ્લા ૫૫ વર્ષથી પ્રકાશન ક્ષેત્રમાં સફળ ઉદ્યોગપતિ તરીકે ખ્યાતિ ધરાવતા ભરતભાઈ રસિકલાલ અનડાનું ૧૯મી જુલાઈએ કોરોનાથી અવસાન થયું હતું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું બેસણું કે ઉઠમણું રખાયું નહોતું. ૬ ઓગસ્ટ, ૧૯૪૧ના રોજ જન્મેલા ભરતભાઈએ પિતા સ્થાપિત ‘અનડા બુક ડેપો’નો કારભાર સંભાળ્યો હતો. તેમણે ૩૬ વર્ષની ઉમરે એસીસીયુ જાપાનમાંથી બુક પ્રોક્શનની તાલીમ લીધી હતી. સ્વભાવે સેવાભાવી ભરતભાઈ ગુજરાત પ્રકાશન મંડળનો પાયો નાંખનાર સભ્યોમાંથી એક હતા.