અમદાવાદઃ ગુજરાતમાં કોરોના નામનો કાળ રોજના સરેરાશ ૪૦૦થી વધુને ભરડામાં લઈ રહ્યો છે. નવમીએ આવેલા એક અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૪૭૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ચોવીસ કલાકમાં ૩૩ લોકોનાં મોત થયાં હતાં અને ૪૦૯ જેટલા દર્દીઓ સાજા થયા હતા. નવમીના અહેવાલો પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક ૨૧ હજારને પાર કરી ૨૧૦૪૪ થઈ ગયો હોવાનું નોંધાયું હતું જ્યારે કોરોનાથી રાજ્યમાં કુલ મૃતકાંક ૧૩૧૩ અને સાજા થયેલાઓની સંખ્યા કુલ સંખ્યા ૧૪૩૭૩ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં રોજ લગભગ કોરોનાના ૪૦૦ કેસ નોંધાય છે તો અમદાવાદમાં આ આંકડાની રોજિંદી સરેરાશ ૩૦૦ની હોય છે.
નવમીના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૩૧, સુરતમાં ૬૨, વડોદરામાં ૩૨, ગાંધીનગરમાં ૮, મહેસાણામાં ૧, ભાવનગરમાં ૩, બનાસકાંઠામાં ૧, રાજકોટમાં ૨, અરવલ્લીમાં ૧, સાબરકાંઠામાં ૫, આણંદમાં ૪, પંચમહાલમાં ૩, પાટણમાં ૩, કચ્છમાં ૧, ખેડામાં ૩, ભરૂચમાં ૨, વલસાડમાં ૨, જૂનાગઢમાં ૧, નવસારીમાં ૧, અમરેલીમાં ૩ સહિત કુલ ૪૭૦ કેસ નોંધાયા હતા.
ભાજપના ત્રીજા ધારાસભ્ય ચેપગ્રસ્ત
કોરોનાથી ભાજપના ત્રીજા ધારાસભ્ય ચેપગ્રસ્ત થતાં રૂપાણી સરકારમાં પણ ભય ફેલાયો છે. ચોથી જૂને જાહેર થયું હતું કે, વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચોથીએ જ તેમણે જાહેર કર્યું કે, હોમ ઓઇસોલેશનમાં રહીને તેઓ સારવાર લેશે. લોકડાઉનમાં સરકારી સેવાઓ અને નિયમોના પાલન માટે લોકસંપર્કને કારણે શહેરના ચાર ધારાસભ્યોને ચેપ લાગી ચૂક્યો હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલની એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર પછી તેમના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા અપાઈ હતી. આ ઉપરાંત નરોડાના નેતા બલરામ થવાણી પણ સિવિલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જણાયું છે.
ધાર્મિક સ્થળે સેનિટાઈઝરની મૂંઝવણ
અનલોક-૧.૦ અંતર્ગત ૭૫ દિવસ બાદ ગુજરાતના અનેક ધાર્મિક સ્થાનોના દ્વાર ભાવિકો માટે ખૂલી ગયા છે. કોરોનાને પગલે ધાર્મિક સ્થાનમાં પ્રવેશતા અગાઉ હાથને ચોખ્ખા કરીને જ પ્રવેશવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. મોટાભાગના સેનેટાઇઝરમાં આલ્કાહોલનું ૬૦થી ૭૦ ટકા પ્રમાણ હોય છે. જેથી ધાર્મિક સ્થાનોમાં પ્રવેશતા અગાઉ હાથને સેનેટાઇઝરથી સાફ કરીને ધર્મસ્થાનમાં પ્રવેશવા અંગે અનેક દર્શનાર્થીઓએ દ્વિધા અનુભવી હતી. અનલોક-૧.૦ અંતર્ગત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ માટે હાથને ચોખ્ખા કરીને ધાર્મિક સ્થાનોમાં પ્રવેશવું જરૂરી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થાનની અંદર પણ દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. હાથને ચોખ્ખા કરીને દર્શનાર્થે જવા માટે અનેક ધાર્મિક સ્થાનોની બહાર સેનેટાઇઝરની બોટલ રાખવામાં આવેલી છે. જેથી તેના દ્વારા ભક્તો હાથ ચોખ્ખા કરીને દર્શન માટે જઇ શકે, પરંતુ આઠમી જૂને મંદિર ખૂલ્યા પછી અનેક દર્શનાર્થીઓએ સેનેટાઇઝરનો ઉપયોગ કરીને દર્શને જવા અંગે સંકોચ અનુભવ્યો હતો. આ અંગે એક કેમિસ્ટે જણાવ્યું કે, મોટાભાગના સેનેટાઇઝરમાં ૬૦થી ૭૦ ટકા આલ્કોહોલનું પ્રમાણ હોવાથી ભાવિકો કદાચ ખચકાય છે. પ્રત્યેક સેનેટાઇઝરની બોટલમાં તેમાં રહેલા આલ્કાહોલનું પ્રમાણ લખેલું જ હોય છે. જોકે, સેનેટાઇઝરમાં બે પ્રકાર હોય છે. જેમાં ઇથાઇલ આલ્કાહોલ ધરાવતા સેનેટાઇઝરમાં ૬૦થી ૭૦ ટકા આલ્કાહોલ હોય છે. જ્યારે આઇસોપ્રોપાઇલ આલ્કાહોલ થોડા મોંઘા હોય છે પણ તેમાં સંપૂર્ણપણે કેમિકલ હોય છે.
આલ્કાહોલ મિશ્રિત સેનેટાઇઝરનો સંપર્ક ટાળવાના ભાગરૂપે અમદાવાદના કેટલાક દેરાસરોમાં ફટકડી મિશ્રિત પાણી રાખવામાં આવ્યું હતું. જેના અંગે જૈન આગેવાને જણાવ્યું કે, કેટલાક દેરાસરોની બહાર ફટકડી મિશ્રિત પાણી ભરેલી ટાંકી રાખવામાં આવી છે. જેમાં નળ દ્વારા પાણી આવે તેવી વ્યવસ્થા છે. જેના દ્વારા હાથ ચોખ્ખા કરી ભાવિકો દર્શન માટે પ્રવેશી શકે છે.
હર્ડ ઇમ્યુનિટી જ આશરો
કોવિડ-૧૯ની મહામારી સામે ગુજરાત વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રાજ્યના ખ્યાતનામ ડોક્ટરોના ગ્રૂપ ઓફ એક્સપર્ટની રચના કરી છે. રવિવારે સવા બે કલાકથી વધારે આ ગ્રૂપના નિષ્ણાત તબીબોએ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. પદ્મશ્રી ડો. તેજસ પટેલે ગુજરાતના નાગરિકોને કોરોનાનો ડર મૂકવા અપીલ કરી છે. આ નવી બીમારીને નાથવા હર્ડ ઇમ્યુનિટીના વિકલ્પ સંદર્ભે તેમણે કહ્યું કે, ૬૦-૭૦ ટકાને ચેપ લાગશે પછી આ ભય જતો રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા એટલે કે સેનિટાઇઝના કવચમાં રહેવાની સલાહ સાથે તેમણે ગેધરિંગ ટાળવા સૂચન કર્યું હતું. પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. દિલીપ માવલંકરે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં અમદાવાદ શહેરમાં જ્યાં સૌથી વધુ પોઝિટિવ કેસ મળી રહ્યા હતા એ સેન્ટ્રલ ઝોનમાં હવે નહિવત કેસ મળે છે. આ બદલાયેલું ચિત્ર સ્વયં સ્પષ્ટ કરે છે કે કોટ વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઇ ગઇ છે!
ડો. માવલંકરે કહ્યું કે, ૮૦ ટકા નાગરિકોને કોરોનાના કોઇ જ લક્ષણો હોતા નથી. અમદાવાદના શાહપુર જેવા એક વોર્ડમાં એક લાખની વસ્તી હોય તો ૬૦ હજારને ચેપ લાગ્યો હોવો જોઇએ અને તેમનામાં વાઇરલ લોડ નેગેટિવ પણ થઇને વાઇરસ ડેડ પણ થઇ ગયો હશે. આથી કંઇ બધાના ટેસ્ટ અનિવાર્ય નથી. ભારતમાં ટીબીની તપાસ કરવામાં આવે તો ૪૦થી ૫૦ ટકા વસ્તીમાં ટીબી નીકળે. ચેપ અને રોગ બે અલગ બાબતો છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુ સંદર્ભે એમણે કહ્યું કે ભારતના ૭૦૦ જિલ્લામાંથી ૨૦ જિલ્લામાં જ ૭૦ ટકા કેસ છે. તેમાંય દિલ્હી, મુંબઈ, અમદાવાદ, થાણે અને ચેન્નાઈ એમ પાંચ જ મહાનગરોમાં સૌથી વધુ કેસ છે.
અમદાવાદમાં ઓબેસીટી, ડાયાબીટીસ, એનેમિક, હાઇ બ્લડ પ્રેશર જેવા રોગોનું પ્રમાણ પણ વધારે છે. તેવી સ્થિતિમાં વિલંબથી હોસ્પિટલ પહોંચ્યાની સ્થિતિમાં કોવિડ-૧૯ના દર્દી સામે દુનિયાની શ્રેષ્ઠ સારવાર પણ પાંગળી સાબિત થાય છે. કોરોના પણ એક દિવસ જતો રહેશે. ક્યારે જશે એ કહેવું અશક્ય છે, પણ આ વાઇરસથી ડરવા કે તેની સામે લડવાની જરૂર નથી. તેના રસ્તે જે આવશે તેને ચેપ લાગશે. માટે સાવચેતી જરૂરી છે. એમ કહેતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. તેજસ પટેલે જણાવ્યું કે, અગાઉ સ્વાઇન ફ્લુ પણ આવીને ગયો, ચિકનગુનિયા પણ ગયો અને આ પણ જશે. ભયમાંથી સૌને બહાર આવવું જરૂરી છે. આ સાથે રાજ્ય સરકાર પર જોકે આક્ષેપ થઈ રહ્યા છે કે કોરોના સંક્રમણ ટેસ્ટ અંગે રાજ્ય સરકારે પહેલેથી જ ગંભીરતા દાખવી નહોતી.
૮૧ દિવસમાં માત્ર અઢી લાખ ટેસ્ટ
કોરોના સંક્રમણ અંગે ગુજરાત સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યા બાબતે સવાલો થઈ રહ્યાં છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે, ગુજરાત કોરોનામાં સલામત હોવાના મસમોટા બણગા સરકાર ફૂંકતી રહી અને આખુંય ગુજરાત કોરાનાના સંક્રમણમાં આવી ગયું છે. હવે અન્ય રાજ્યો કરતાં ઓછા કેસ દેખાય તેના માટે સરકારે ઓછા ટેસ્ટિંગનો કીમિયો અપનાવ્યો હોવાની પોલ છેલ્લા એક મહિનાના એનાલિસિસમાંથી ખુલ્લી પડી રહી છે.
ગુજરાતમાં ૧૯ માર્ચથી લઈ ૭મી જૂન સુધીના કુલ ૮૧ દિવસમાં માત્ર અઢી લાખ ટેસ્ટ થયાં છે જેની સામે તામિલનાડુમાં માત્ર એક મહિનામાં જ ૪ લાખ જેટલા ટેસ્ટ કરાયાં છે. થોડા સમય પહેલાં ગુજરાત કોરોના પોઝિટિવના કેસમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હતું, પરંતુ આજે બીજા ક્રમે તામિલનાડુ અને ત્રીજા ક્રમે દિલ્હી આવતાં ગુજરાત ચોથા ક્રમે આવ્યું છે. તેના પાછળનું કારણ એ છે કે, આ બંને રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા વધારાઈ છે. ગુજરાતમાં ૧ મહિનામાં ૧૩,૪૭૨ નવા પોઝિટિવ કેસ છે જ્યારે તામિલનાડુમાં ૨૬,૯૩૮ અને દિલ્હીમાં ૨૩,૮૩૮ કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત પાંચમીએ એવો અહેવાલ પણ હતો કે કોરોનાના હાઈ અને મોડરેટ રિસ્ક ધરાવતા ૧૬ ટકા દર્દીઓ જ કોરોના વાઈરસ ફેલાવે છે.
હાઈ અને મોડરેટ રિસ્ક ધરાવતા દર્દીઓ
કેન્દ્ર સરકારની અમદાવાદ સ્થિત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં તારણ બહાર આવ્યું છે કે કોરોના વાઇરસનો ફેલાવો કરવાનું વધુ અને મધ્યમ જોખમ ધરાવતા ૧૬ ટકા દર્દીઓના કારણે જ કોરોનાનો મહત્તમ ફેલાવો થાય છે. કોરોનાના દર્દીઓનું વર્ગીકરણ કરી હાઇ રિસ્ક એટલે કે ઉંચું જોખમ ધરાવતા સાત ટકા અને મોડરેટ રિસ્ક એટલે કે મધ્યમ જોખમ ધરાવતા નવ ટકાનું નિદાન અને સારવાર સાવચેતીથી કરાય તો કમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવી શકાય છે. આ સંસ્થા આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા સ્થાપિત છે અને સર્વેમાં રહેલા તારણો પર ધ્યાન આપવા અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે.
આ સંસ્થાએ મહીસાગર જિલ્લામાં બે હજાર લોકોનો સર્વે હાથ ધર્યો હતો, જે પૈકી ૧૪૦ વ્યક્તિ કોરોના પોઝિટિવ હતા. ૧૪૦ ઉપરાંતના લોકો કોરોના પોઝિટિવના પરિવારજનો, પાડોશીઓ અને કોરોના શંકાસ્પદ હતા. આ સર્વેમાંથી જાણવા મળ્યું કે સાત ટકા લોકો હાઇ રિસ્ક એટલે કે વાઇરસ ફેલાવવાનું ઉંચું જોખમ ધરાવે છે, નવ ટકા લોકો મોડરેટ એટલે કે મધ્યમ અને બાકીના ૮૪ ટકા લોકો માઇલ્ડ કે નહીંવત્ જોખમ ધરાવે છે.
કોઇ પણ વ્યક્તિના લોહી સહિતના શરીરના પ્રવાહીઓમાં વાઇરસ સમાવવાની ક્ષમતાને વાઇરલ લોડ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિનો વાઇરલ લોડ વધારે હોય તે વ્યક્તિ વાઇરસના ચેપનો જલદીથી ફેલાવો કરે છે. કોરોનાની સારવાર કરતો મેડિકલ સ્ટાફ પૂરતી સાવચેતી છતાં કોરોનાનો ભોગ બને છે. કારણ કે તેઓ હાઇ રિસ્ક ધરાવતા દર્દીના સંસર્ગમાં આવે છે.
હાઇ રિસ્ક ધરાવતા દર્દીઓની લાળમાં પણ વાઇરસ હોય છે અને તેઓ ખાંસી કે છીંક ખાય ત્યારે તો વાઇરસ ફેલાય જ છે, પરંતુ આવા દર્દીઓ બોલે ત્યારે પણ તેની લાળમાં રહેલા વાઇરસ પણ હવામાં ભળે છે અને આ પ્રક્રિયાને સસ્પેન્સ ઇરોઝન કહેવામાં આવે છે.