ગાંધીનગરઃ ગુજરાત સરકાર કોરોના કાબૂમાં હોવાની વાત કરી રહી છે, પણ રાજ્યમાં દરરોજ કોરોનાના ૫૦૦થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ૨૩મી જૂનના આંક પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૮૪૨૯પર પહોંચ્યો છે અને કોરોનાથી મોતનો કુલ આંક ૧૭૧૧ તેમજ ડિસ્ચાર્જનો કુલ આંક ૨૦૫૨૧ પર પહોંચ્યો છે. ૨૩મી જૂને એવા પણ અહેવાલ હતા કે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં વધુ ૫૪૯ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૬ લોકોનાં કોરોનાથી મોત થયાં હતાં. ૨૪ કલાકમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૬૦૪ નોંધાઈ હતી. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક ૬૧૯૭ નોંધાયો હતો. જેમાંથી ૬૨ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૬૧૩૫ દર્દીઓની હાલત સ્થિર જણાવાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે એક સમયે કોરોનાના કેસ મામલે દેશમાં મુંબઈ બાદ બીજા ક્રમે આવનારા અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા હવે ઘટતી જાય છે. તેથી રાજ્ય સરકારે પણ હાશકારો અનુભવ્યો છે. જોકે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.
૨૩મીએ જણાવવામાં આવ્યું હતું કે, સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી સુરતીવાસીઓની ચિંતામાં વધારો થયો છે. ૨૩મીએ છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૧૫૨ કોરોના કેસ નોંધાયા હતા.
પરિવારજનો ન આવતાં ૧૭નાં અંતિમ સંસ્કાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલે અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનાર ૧૭ લોકોનાં અંતિમ સંસ્કાર કર્યા હોવાના અહેવાલ ૨૨મી જૂને આપ્યાં હતાં. આ મૃતકોમાંથી કેટલાંકના સગાને ઇન્ફેક્શનનો ડર હતો તો કેટલાક મૃતદેહ લેવા ન આવ્યા. કેટલાકના સગા બહારગામ વસતા હોવાથી તેઓની મંજૂરી મેળવીને અંતિમ સંસ્કાર કરાયા હતા.
સિવિલનાં ઓફિસર ઓન સ્પેશ્યિલ ડ્યૂટી ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, કોરોનાનું ઇન્ફેક્શન લાગવાના ડરને કારણે કેટલાંક મૃતકના સગા મૃતદેહની ખરાઇ કરવા કે અંતિમ સંસ્કાર માટે તૈયાર થતાં નથી. તેથી હોસ્પિટલ દ્વારા નિયમ મુજબ, મૃતકના સગા પાસેથી લેખિતમાં ફોર્મ ભરાવાની મંજૂરી લીધા બાદ મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરાય છે. હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ ઇન્ચાર્જ ડો. મનીષ ઘેલાણી જણાવે છે કે, હોસ્પિટલે અત્યાર સુધીમાં ૧૭ મૃતદેહનાં અંતિમ સંસ્કાર કર્યાં છે.
ભરતસિંહ સોલંકીને કોરોનાઃ રાજ્યસભા ચૂંટણીમાં ૨૦૦ના સંપર્કમાં આવ્યા હતા
ગાંધીનગરઃ ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે. તેમને રવિવારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૯મી જૂને યોજાયેલી રાજ્યસભા ચૂંટણીના દિવસે તેઓ અંદાજે ૨૦૦ લોકોને મળ્યા હતા. આ પૂર્વે થોડા દિવસ દરમિયાન ભરતસિંહ અન્ય કેટલાંક લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકી વધુ સમય માટે સીધા સંપર્કમાં આવ્યાં તેવાં લોકોમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભાજપના ત્રણેય ઉમેદવાર, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકિષ્ણા સહિત અન્યનો સમાવેશ થાય છે.
ભરતસિંહ ૧૫ જૂને અંબાજી આવ્યા ત્યારે તેમનાં શરીરનું તાપમાન વધુ હતું. ફરજ પરના હેલ્થના મહિલા કર્મચારીએ તેમને બેસવા જણાવ્યુ હતું, પણ ભરતસિહ માન્યા નહોતા અને મંદિરમાં દર્શને પહોંચી ગયા હતા.
ભરતસિંહ કોરોના પોઝિટિવ હોવાન સમાચાર આવતાં જ તેઓ દિલ્હીમાં ક્વોરેન્ટાઈન થયા હતા. કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાની ચૂંટણી બાદ દિલ્હી રવાના થઇ ગયા હતા. ગોહિલ સોમવારે સાંજે જ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે દિલ્હીથી પટણા જવાના હતા, આ પ્રવાસ તેમણે રદ કરી નાંખ્યો હોવાના અહેવાલ છે.