અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૧૯૭૮માં મળી આવેલા સિકલસેલ રોગના પ્રથમ દર્દી અને ગુજરાતના સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની સ્થાપના માટે પ્રેરણાસ્ત્રોત બનેલા વલસાડ તાલુકાના વાંકલ ગામના ૭૬ વર્ષીય બાવનભાઇ પટેલનું ટૂંકી માંદગી બાદ ૨૮મી ડિસેમ્બરે અવસાન થયું હતું.
બાવનભાઇમાં વારસાગત રોગ સિકલસેલ એનિમિયા હોવાનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ્ મંત્રી ડો. યઝદીભાઇ ઇટાલિયાએ વર્ષ ૧૯૭૮માં કર્યું હતું. બાવનભાઇમાં આ રોગના નિદાનથી પ્રેરણા લઇને ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
ચીખલીના પારસી સદ્ગૃહસ્થ ડો. યઝદીભાઇ ઇટાલિયાએ વર્ષ ૧૯૭૫માં પોતાની ક્લિનિકલ લેબોરેટરી સ્થાપી હતી. વર્ષ ૧૯૭૮માં તેમને ત્યાં વાંકલ ગામના બાવનભાઇ ખુશાલભાઇ પટેલ લોહીનું પરીક્ષણ કરાવવા આવ્યા તે સમયે બાવનભાઇની ઉંમર ૩૫ વર્ષની હતી. તેમના લોહીમાં વારસાગત સિકલસેલ રોગ હોવાનું નિદાન થયું હતું. જે બાદ ભારત સરકાર દ્વારા લોકજાગૃતિ અંગે નિર્માણ કરાયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ એગોની ઓફ સિકલસેલ ડિસીઝમાં બાવનભાઇ અને તેમના પરિવારને સ્થાન મળ્યું હતું.
વૈશ્વિક સ્તરે સિકલસેલ નિયંત્રણ ક્ષેત્રે ગુજરાત મોડેલ ખ્યાતિ પામતા, દેશ-વિદેશના તબીબો અને ડો. ગ્રેહામ સાર્જન્ટે બાવનભાઇના વાંકલ સ્થિત ઘરની મુલાકાત લઇ શુભેચ્છા આપી હતી. ૧૯૭૮માં સિકલસેલના નિદાન બાદ બાવનભાઇ પટેલ નિયમિત ફોલોઅપ અને લોહી પરીક્ષણો કરાવતા રહ્યા અને તબીબની સલાહ-સૂચન મુજબ ચાલીને હાલ પર્યંત સુખમય અને લાંબુ જીવન જીવ્યા હતા.