ગુજરાતમાં નવરાત્રી પર્વે ગરબા પર પ્રતિબંધઃ આરતીની છૂટ

Tuesday 13th October 2020 17:13 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસનું સંકટ ટળી રહ્યું નથી તેથી કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારે નવરાત્રીના મોટા આયોજનો પર પ્રતિબંધ જાહેર કર્યો છે, પણ આરતીની છૂટ આપી છે. સરકારે ગરબા પર સંપૂર્ણતઃ પ્રતિબંધ લગાવ્યો, પણ આરતીના નામે ટોળે વળવા છૂટ આપતો અણઘડ નિર્ણય જાહેર કર્યો હોવાની ચર્ચા છે.
ગૃહ વિભાગ દ્વારા જાહેર થયેલા હુકમમાં શેરી-સોસાયટીઓમાં આરતીના નામે નવરાત્રીના આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની શરતે ૨૦૦ વ્યક્તિઓને સામેલ થવા છૂટ અપાઈ હતી. રાજ્યમાં અત્યારે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી છે, ત્યારબાદ પાલિકા-પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે ત્યારે મતદારોની વચ્ચે જવા ભાજપ સરકારે નિષ્ણાત તબીબોની સલાહને અવગણી આરતીના નામે નવરાત્રી આયોજનને છૂટ આપતાં ચેપના ફેલાવાનું જોખમ વધાર્યાનું સ્પષ્ટ થયું હોવાની ચર્ચા છે.
સરકારે ૧૬ ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે ગૃહ વિભાગના અધિક સચિવ કે. કે. નિરાલાની સહીથી ૯મી ઓક્ટોબરે રાતે જાહેર કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર- SOP (ગાઈડલાઈન)માં જ કોવિડ-૧૯ હેઠળ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તહેવારોની ઉજવણી સંદર્ભે દિશા-નિર્દેશ જણાવ્યા હતા. જેમાં પાર્ટી પ્લાોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક તેમજ અન્ય જાહેર સમારોહ યોજવા સ્થાનિક પોલીસ ઓથોરિટી પાસેથી મંજૂરીના નિયમોમાં ‘રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં’ એમ કહેવાયું હતું. જોકે, તેની સાથે જ સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરીથી જાહેરમાં ગરબી, મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી યોજવાની મુક્તિ જાહેર કરી હતી. આ કાર્યક્રમમાં વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિને એકત્ર થવાની છૂટ અપાઈ છે જ્યારે ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ, પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મુકાયો છે. આ જ હુકમમાં નવરાત્રી, દુર્ગાષ્ટમી, દશેરા, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, ઈદ-એ-મિલાદ ઉન્નબી જેવા તહેવારોમાં નાગરિકોને ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે ધાર્મિક પૂજા કરવા પણ સલાહ અપાઈ છે! આમ એક તરફ સરકાર ઘરમાં બેસીને પૂજા કરવા જણાવે છે ત્યારે બીજી તરફ નવરાત્રીમાં આરતીના નામે એક કલાક માટે ૨૦૦ વ્યક્તિને એકત્ર થવા મંજૂરી આપી છે. જે સ્વયં સ્પષ્ટ કરે છે કે આરતીના નામે મતદારો વચ્ચે ઘૂસવા ભાજપ સરકારનો મનસૂબો છે. ગૃહ વિભાગના હુકમમાં મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા, સ્નેહમિલન જેવા કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં, લગ્ન અને સત્કાર સમારોહ માટે જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય તે અને મરણપ્રસંગે અંતિમ ક્રિયા-ધાર્મિકવિધિ માટે ૧૦૦ વ્યક્તિને છૂટ અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter