રાજ્યમાં ભારે વરસાદથી ડભોઈ તાલુકાનાં દસ ગામ સંપર્કવિહોણા બન્યાં

Wednesday 30th August 2017 08:44 EDT
 
 

ગાંધીનગરઃ બંગાળની ખાડી તરફથી આવતી વાવાઝોડાં અને વરસાદના એંધાણના પગલે ૨૬મી ઓગસ્ટથી રાજ્યભમાં વરસાદી માહોલ છે. સોમવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ભાવનગર પંથકમાં ૨થી ૭ ઈંચ સુધીનો વરસાદ પડતાં નદી-નાળા છલકાઈ ગયાં હતાં. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વીજળી પડતાં ૨ આધેડનાં મોત થયા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી જોરદાર વરસાદનો માહોલ છે. ૨૭મીએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સૌથી વધુ ૭, ભરૂચ જિલ્લાના હાંસોટમાં ૬, નેત્રંગમાં ૫ તેમજ વાગરામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર, સુરત જિલ્લાના ગામડામાં દોઢથી ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ અને વાપી શહેર ઉપરાંત આજુબાજુનાં શહેર-ગામડાઓમાં ૪ ઇંચ સુધીની સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ હતી. દમણગંગા નદીના મધુબન જળાશયના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડાતાં વાપીના નદી કિનારાના ચાર ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. ભાવનગરમાં ધોધમાર ૫ ઇંચ વરસાદ પડતાં ઘરોમાં ૧ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત, ઘોઘા ૪, તળાજા ૪.૬૦, પાલિતાણા ૩.૦૦, સિહોર ૨.૭૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ડભોઈના ૧૦ ગામનો સંપર્ક તૂટી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter